Surat : મહાનગરપાલિકાની બેદરકારીનો નમૂનો, પૂર્વ કોર્પોરેટરનો રિપોર્ટ આઠ દિવસ પછી પણ મળ્યો નથી
આજ પ્રકારની ગંભીર લાપરવાહી ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર રૂપલ શાહના કિસ્સામાં પણ જોવા મળી હતી. જેમને પણ પાંચ દિવસ સુધી કોરોના રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો. જો કે રિપોર્ટ બાદમાં પોઝિટિવ આવ્યો હતો.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની(Health Department ) વધુ એક ગંભીર લાપરવાહી સામે આવી છે. જેમાં કોંગ્રેસના માજી કોર્પોરેટરે(Councilor ) દિનેશ સાવલીયાએ આઠ દિવસ અગાઉ ટેસ્ટિંગ કરાવાયું હતું. જેનો હજુ સુધી કોઈ રિપોર્ટ(Report ) સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવ્યો નથી. પરંતુ ખાનગી લેબોરેટરીમાં તાપસ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું.
મનપાની ગંભીર લાલિયાવાડીનો ભોગ આખરે ભૂતપૂર્વ કોર્પોરેટરે જ બનવાનો વારો આવ્યો હતો. અગાઉ આવું જ ભાજપના પૂર્વ કોર્પોરેટર રૂપલ શાહના કિસ્સામાં પણ થયું હતું. જેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ પણ પાંચ દિવસ બાદ આપવામાં આવ્યો હતો.
પુણા વિસ્તારમાં રહેતા અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાની તબિયત ઉત્તરાયણના દિવસે બગાડતા તેઓએ 15 જાન્યુઆરીના રોજ તેમની સોસાયટીમાં આવેલા ધન્વંતરિ રથમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવતા તેઓએ આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો. 15 તારીખે બપોરે આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ 22 તારીખ થવા છતાં હજુ સુધી કોઈ રિપોર્ટ સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવ્યો નથી.
15 તારીખે આરટીપીસીઆર રિપોર્ટ કરાવાયા બાદ દિનેશ સાવલીયાએ મનપાના આરોગ્યમાં ખાનગી રાહે 16 જાન્યુઆરીએ તપાસ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું માલુમ પડતા તેઓ હોમ કોરોન્ટાઈન થઇ ગયા હતા. આઠ દિવસ બાદ પણ હજુ સુધી તેમને કોઈ મેસેજ આવ્યો ન હતો. ગતરોજ અમદાવાદથી તેમની તબિયત પૂછવા 104 હેલ્પલાઇન પરથી કોલ આવ્યો હતો કે તમને કોરોના થયો હવે કેમ છે.
ત્યારે દિનેશ સાવલીયાએ જણાવ્યું હતું કે હજુ સુધી મને રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તો સામેથી તમે એસએમસીમાં તપાસ કરાવો કહી ફોન મૂકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આજ પ્રકારની ગંભીર લાપરવાહી ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર રૂપલ શાહમાં પણ જોવા મળી હતી. જેને પણ પાંચ દિવસ સુધી કોરોના રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો. જેનો રિપોર્ટ પણ બાદમાં પોઝિટિવ આવ્યો હતો.
બે ત્રણ દિવસથી શહેરમાં કેસો ઘટ્યા :
ઓમિક્રોન વેરિયેન્ટની એન્ટ્રી બાદ સુરત શહેરમાં કોરોના મહામારીના ત્રીજા તબક્કાની લહેરનો પ્રારંભ થઈ ચુક્યો છે. છેલ્લા બે – ત્રણ દિવસથી સતત ઘટી રહેલા સંક્રમણના દરને પગલે વહીવટી તંત્ર પણ આંશિક રાહત અનુભવી રહ્યું છે. જો કે, છેલ્લા ૨૧ દિવસમાં કોરોના સંક્રમણને પગલે સુરત શહેરનો રિકવરી રેટ 98 ટકાથી ઘટીને 84 ટકાએ પહોંચી ગયો છે.
મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરતમાં પહેલી જાન્યુઆરીના રોજ રિકવરી રેટ 98 ટકા હતો. આ દરમ્યાન શહેરની સિવિલ અને સ્મીમેર સહિતની હોસ્પિટલોમાં 20 દર્દીઓ સારવાર હેઠળ નોંધાવા પામ્યા હતા. જ્યારે ગઈકાલે સુરતનો રિકવરી રેટ ઘટીને 84 ટકાએ પહોંચી ચુક્યો છે અને હોસ્પિટલોમાં 396 દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય માત્ર 21 દિવસમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવારગ્રસ્ત 15 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.
આ પણ વાંચો :