Surat : વિકાસમાં અગ્રેસર સુરત કોર્પોરેશનના મહેકમમાં ઘટ, 2500 કરતા વધુ કર્મચારીઓની જગ્યા ખાલી
જો મનપા(SMC) દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં નહી આવે તો હદવિસ્તરણ બાદ શહેરમાં સમાવેશ થયેલા નવા વિસ્તારને સમયસર સુવિધા પુરી પાડી શકાશે નહી તે વાત નકારી શકાય તેમ નથી.
સુરત (Surat ) શહેરે છેલ્લા બે દસકામાં વિકાસની (Development ) હરણફાળ ભરી છે.હદ વિસ્તરણ બાદ સુરત શહેરના વિસ્તારમાં વ્યાપક વધારો થતા સુરત મનપાની (SMC) જવાબદારી પણ વધી છે. જોકે તેની સામે મહેકમ ઓછું હોવાને કારણે આગામી દિવસોમાં સુરત મનપાના કામો પર તેની સીધી અસર જોવા મળે તેવી શક્યતા જોવાઇ રહી છે. વર્ગ એક થી ત્રણ સુધીના કર્મચારીઓની 2897 જેટલી જગ્યા ખાલી હોય મનપાના કર્મચારીઓએ બમણી જવાબદારી નિભાવવી પડી રહી છે. આ મામલે વિપક્ષ દ્વારા પણ વારંવાર રજુઆત કરવા છતા પણ ઉચ્ચ વર્ગ (કલાસ વન) ના 70 અધિકારીઓની જગ્યા હજુ સુધી ભરવામાં આવી નથી. જેને પગલે અધિકારીઓ પર કામનું ભારણ ખુબ જ વધી ગયું છે.
સ્માર્ટ સીટી તરીકે નામના પ્રાપ્ત કર્યા બાદ સુરત શહેરે સ્વચ્છ શહેરની લિસ્ટમાં બીજો નંબર પ્રાપ્ત કરીને મનપાએ સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી દીધુ છે. વર્ષ 2006માં થયેલા હદવિસ્તરણ બાદ સુરત શહેરનો વિસ્તાર વધીને 326,17 ચો.કીમી થઇ ગયો હતો. વર્ષ 2019ના હદવિસ્તરણમાં બે નગરપાલિકા અને 27 ગામનો સમાવેશ સુરત શહેરમાં થતા શહેરનો વિસ્તાર વધીને 462.16 ચો.મી થઇ ગયો છે. હદવિસ્તરણ બાદ શહેરના વિસ્તારમાં વધારો થયો છે. પરંતુ મનપાના મહેકમમાં કોઇ ખાસ વધારો કરવામાં આવ્યો નથી. તબક્કાવાર વિવિધ કેડરોની જગ્યા ભરવામાં આવી છે. પરંતુ તેનાથી મનપાના અધિકારીઓનું કામનું ભારણ ઓછુ થયું નથી.
સુરત મહાનગર પાલિકામાં વર્ગ એકથી ત્રણ સુધીની વિવિધ કેડરોની જગ્યા પર કુલ 7207 કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. જયારે વયનિવૃત્તિ, સ્વૈચ્છિક રાજીનામું, તેમજ અન્ય કારણોસર 2897 જગ્યાઓ ખાલી છે. વિપક્ષ દ્વારા આ મામલે વારંવાર રજુઆત કરાતા વર્ગ 1 થી 3ની ખાલી પડેલી જગ્યાઓ પૈકી 1257 જગ્યાઓ ભરવા માટે મનપા દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
આ સાથે આસીસ્ટન્ટ ઇજનેરની 103, કલાર્કની 32 અને લેબ ટેક્નિશિયનની 61 ભરવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. હદવિસ્તરણ નવા કામો મેનપાવરની જરૂરીયાત ઉભી થાય તે વાત નકારી શકાય તેમ નથી. પરીણામે જો મનપા દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં નહી આવે તો હદવિસ્તરણ બાદ શહેરમાં સમાવેશ થયેલા નવા વિસ્તારને સમયસર સુવિધા પુરી પાડી શકાશે નહી તે વાત નકારી શકાય તેમ નથી.