Surat : કોર્પોરેશન દ્વારા પશુ ચિકિત્સકની ગેરહાજરીમાં પશુઓને લગાવવામાં આવતા ટેગ સામે માલધારી સમાજનો વિરોધ
કોર્પોરેશન (SMC) દ્વારા પશુઓ તો પકડવામાં આવે છે. પણ જયારે તેમને ટેગીંગની કામગીરી કરવામાં આવે છે. ત્યારે કોઈપણ નિષ્ણાત પશુ ચિકિત્સક કે તબીબ ત્યાં હાજર હોતું નથી.
શહેરના(Surat ) વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતા ગૌવંશ સહિતના ઢોરોને સુરત મહાનગર પાલિકાની(SMC) ઢોર પાર્ટી દ્વારા ટેગ(Tag ) લગાવવાની કામગીરીના વિરોધ સાથે માલધારી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલકમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા આ દરમ્યાન આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પશુઓના ડોક્ટરની અનુપસ્થિતિમાં બેલદારો દ્વારા ચીપ અને ટેગ લગાવવાની કામગીરીને પગલે પશુઓને અસહ્ય વેદના સાથે લોહી નીકળવાની ઘટનાઓ નોંધાવા પામી છે. આ સ્થિતિમાં મનપા દ્વારા આ કામગીરી માટે અન્ય વિકલ્પ અપનાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે માલધારી સમાજના આગેવાનોએ મનપા દ્વારા ઢોરને લગાવવામાં આવતા ટેગની કામગીરી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુપરત કરવામાં આવેલા આવેદન પત્રમાં માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મનપા દ્વારા પકડવામાં આવતાં ગૌવંશ અને ઢોરોને જે રીતે ચીપ તેમજ ટેગ લગાવવામાં આવે છે તે ખૂબ જ બર્બરતાપૂર્વકનું કૃત્ય છે.
આવેદન આપવા આવેલા માલધારી સમાજના લોકોનું કહેવું હતું કે કોર્પોરેશન દ્વારા પશુઓ તો પકડવામાં આવે છે. પણ જયારે તેમને ટેગીંગની કામગીરી કરવામાં આવે છે. ત્યારે કોઈપણ નિષ્ણાત પશુ ચિકિત્સક કે તબીબ ત્યાં હાજર હોતું નથી. માત્ર ને માત્ર બેલદારો દ્વારા જ પશુઓને આ ટેગિંગ કરવામાં આવે છે, જેના કારણે પશુઓને શારીરિક તકલીફ સહન કરવાનો વારો આવે છે.
આ સિવાય મનપાની ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવતાં જાનવરોને પશુઓના ડોક્ટરોને બદલે બેલદારો દ્વારા જ ટેગ લગાવવામાં આવતાં ઘણી વખત પશુઓના ગળાના ભાગની ચામડીમાંથી લોહી નીકળવાની ઘટનાઓ પણ બનવા પામી છે. આ સ્થિતિમાં મનપા દ્વારા માનવતાને ધોરણે રખડતા ઝડપાયેલા ઢોરોને ટેગ લગાવવાને બદલે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી કે ક્યાં તો ટેગિંગ બાબતે અન્ય કોઈ વિકલ્પ અજમાવવામાં આવે અથવા તો ટેગિંગ દરમ્યાન કોઈ પશુ ચિકિત્સકને હાજર રાખવામાં આવે. આવનારા દિવસોમાં આ મામલે હકારાત્મક અભિગમ દાખવવા પણ માલધારી સમાજ દ્વારા કોર્પોરેશનને વિનંતી કરવામાં આવી છે.