Surat: ઉમરવાડા ટેનામેન્ટના સ્થાનિકોએ સ્વૈચ્છીક સ્થળાંતર શરૂ કર્યું, અડાજણ આવાસમાં મકાન ફાળવાયા
છેલ્લા કેટલાક વર્ષોથી પડવાના વાંકે ઉભા રહેલા અને અત્યંત જર્જરિત બની ચૂકેલા ઉમરવાડા ટેનામેન્ટમાં વસવાટ કરતાં 300થી વધુ પરિવારોની જાન-માલની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સ્થળાંતર માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ભારે વિવાદ બાદ આજે ઉમરવાડા (Umarwada)ના જર્જરિત આવાસોમાં વસવાટ કરતાં 201 પરિવારો પૈકી 40 પરિવાર દ્વારા સ્વૈચ્છિક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ માટે લિંબાયત ઝોનની ટીમ દ્વારા પણ સ્થળાંતર કરી રહેલા પરિવારોના સહાય અર્થે ઘરવખરીના સામાનના શિફ્ટીંગ માટે વાહન – બેલદારોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પરિવારો હવે અડાજણ (Adajan) ખાતે આવેલા હાઉસિંગના મકાનોમાં વસવાટ કરશે.
છેલ્લા કેટલાક વર્ષોથી પડવાના વાંકે ઉભા રહેલા અને અત્યંત જર્જરિત બની ચૂકેલા ઉમરવાડા ટેનામેન્ટમાં વસવાટ કરતાં 300થી વધુ પરિવારોની જાન-માલની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સ્થળાંતર માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ગરીબ પરિવારો પાસે મકાન ખાલી કર્યા બાદ ભાડું ભરવાની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે મનપા દ્વારા આ પરિવારોને અલાયદી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે મોટાભાગના પરિવારો મનપા દ્વારા ફાળવવામાં આવેલા આવાસોમાં સ્થળાંતર માટે સ્વૈચ્છિક રીતે તૈયાર થઈ ગયા હતા.
જેના ભાગરૂપે હાલમાં જ 60 પરિવાર દ્વારા સ્થળાંતર માટેની સંમતિ આપી દેવામાં આવી હતી. જો કે અડાજણ ખાતે આવેલા આવાસોમાં સામાન્ય રિપેરીંગની કામગીરી પૂર્ણ થતાં આજ રોજ વહેલી સવારથી ઉમરવાડાના જર્જરિત આવાસમાં વસવાટ કરી રહેલા 40 પરિવારના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાકીના પરિવારો પણ જેમ-જેમ આવાસોની ફાળવણી કરવામાં આવશે, તેમ તેમ સ્થળાંતર માટે તૈયાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં હવે ઉમરવાડા ટેનામેન્ટના રહેવાસીઓના સ્થળાંતરના જટિલ પ્રશ્નનો સુખદ નિવેડો આવી ચુક્યો છે.
નોંધનીય છે કે ઉમરવાડા ટેનામેન્ટ મુદ્દે આવાસ ખાલી કરાવવા મામલે ભારે મડાગાંઠ સર્જાઈ હતી. કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનોની પણ મધ્યસ્થી કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિવેડો આવ્યો ન હતો. ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને વડોદ ગામમાં પણ મકાન ફાળવવામાં આવ્યા હતા પણ આ મકાનો પણ જર્જરિત હોવાથી સ્થાનિકોએ આવાસ ખાલી કરવા ઈન્કાર કરી દીધો હતો. પરંતુ હવે આ ટેનામેન્ટના સ્થાનિકો અડાજણ ખાતે આવેલ હાઉસિંગના મકાનોમાં રહેવા માટે તૈયાર થયા છે. મકાનો ખાલી થતા પાલિકા દ્વારા રિડેવલ્પમેન્ટ પોલિસી હેઠળ આવાસનોના પુનઃનિર્માણની કામગીરી આગળ વધારવામાં આવશે.
આ પણ વાંચો: Chhota Udepur : નસવાડી પ્રાથમિક શાળાના તાળા ત્રણ શિક્ષકોની બદલી બાદ 13 દિવસે ખૂલ્યા
આ પણ વાંચો: Rajkot : પ્રજાના રૂપિયે જલસા ! કોરાનાકાળમાં શાસકો માટે RMC 47 લાખના ખર્ચે કરશે કારની ખરીદી