Surat : દસ્તાન ગામે ફરી રેલવે ફાટક રિપેરિંગ માટે બંધ કરી દેવાતા ભરચોમાસે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી
સ્થાનિકોનું કહેવું છે કે પાંચ દિવસથી આ ફાટક બંધ હોવાને કારણે અમને હેરાન થવું પડી રહ્યું છે, એટલું જ નહિ હાલ જ્યારે ચોમાસુ શરૂ થયું છે ત્યારે જ આ કામ શરૂ કરાતા અમને નોકરી ધંધાએ કલાક જેટલો વહેલો સમય કાઢીને નીકળવું પડી રહ્યું છે.
સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે આવેલ રેલવે ફાટક (Railway crossing) ફરી એકવાર મરામત કામગીરી માટે 5 દિવસ બંધ કરાતા હાલાકી ઉભી થઇ છે . તેમજ બીજી બાજુ ફાટક બાજુ માં મંથર ગતિએ ચાલતું ઓવરબ્રિજ (Overbridge) નું કામને કારણે લોકોને ભરચોમાસે હેરાન થવાનો વારો આવ્યો છે. સુરત – ભુસાવલ રેલવે લાઈન ઉપર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામ નજીક રેલવે ફાટક આવેલું છે. જ્યાં ફરી વાર ફાટક બંધ કરાયા ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. મરામત કામગીરીને લઇને 5 દિવસ સુધી ફાટક બંધ કરવામાં આવી છે . હાઈ વે નો વાહન વ્યવહાર હોય ગંગાધરા ગામથી એના પલસાણા તરફ વાહનોને ડાયવર્ઝન અપાયું છે .
સામાન્ય રીતે તાપી જિલ્લામાંથી તેમજ સુરત જિલ્લાના બારડોલી તરફથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને અન્ય લોકો દ્વારા વાહન વ્યવહાર માટે આ દસ્તાન ફાટકનો રોજિંદા ઉપયોગમાં લેવામાં આવે છે અને જયારે આ ફાટક બંધ થાય છે ત્યારે વાહન વ્યવહાર અને નોકરિયાત વર્ગને પારાવાર મુશ્કેલી પડે છે. કોઈ પણ અગાઉ નોટિસ કે જાહેર ખબર પહેલા અચાનક આ રીતે ફાટક બંધ કરી દેવાતા રેલવેની નીતિ રીતિ સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
દસ્તાન ફાટક નજીક ફાટક બંધ થતા આવન જાવન માટે તો મુશ્કેલી પડે છે. તેમજ આમ દિવસો માં પણ ટ્રાફિક સમસ્યા વકરતી હોય છે જેના હલ રૂપે સરકાર દ્વારા ફાટકની બાજુમાં જ ઓવર બ્રિજનું કામ ચાલુ કરાયું છે . જોકે ચાર વર્ષ થી વધુ સમય વીતી જવા છતાં મંથરગતિએ એ કામ ચાલી રહ્યું છે. હાલ દસ્તાન ઓવરબ્રિજની કહેવાતી સુવિધા હાલ તો માત્ર દુવિધા સમાન બની રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે પાંચ દિવસથી આ ફાટક બંધ હોવાને કારણે અમને હેરાન થવું પડી રહ્યું છે, એટલું જ નહિ હાલ જ્યારે ચોમાસુ શરૂ થયું છે ત્યારે જ આ કામ શરૂ કરાતા અમને નોકરી ધંધાએ કલાક જેટલો વહેલો સમય કાઢીને નીકળવું પડી રહ્યું છે. લાંબા સમયથી આ સમસ્યાનો કોઈ નિરાકરણ નથી. આ સમસ્યાનું તાકીદે વહેલી તકે નિરાકરણ લાવીને ફાટકને જલ્દી શરૂ કરવામાં આવે તેવી માંગ છે.
(ઇનપુટ્સ – જિગ્નેશ મહેતા, બારડોલી)