Surat: વિવાદનું બીજું નામ બન્યા કુમાર કાનાણી, ફરી ઉઠાવ્યા શાસકોની કામગીરી સામે સવાલ
જોકે આ સંદર્ભે હજી સુધી શાસકોએ મગનું નામ મરી પાડ્યું નથી અને આગામી દિવસોમાં શાસકો દ્વારા આ સંદર્ભે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર વિરોધ પક્ષની પણ નજર રહેશે તેમાં પણ કોઈ બેમત નથી.
કોઈને કોઈ રીતે વિવાદમાં રહેવા ટેવાયેલા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ વધુ એક વખત શાસકો સામે બાંયો ચડાવીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. કુમાર કાનાણીએ ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સુરતના ભેસ્તાન ખાતે આવેલા લેક ગાર્ડનના રી-ડેવલપમેન્ટ માટે મનપાએ લીધેલા નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે.
કુમાર કાનાણીએ લખ્યું છે કે ભેસ્તાન ખાતે આવેલા 11 વર્ષ જુના ગાર્ડનને રિડેવલપમેન્ટ કરવાની જરૂર કેમ પડી કારણ કે 11 વર્ષથી આ ગાર્ડનનું રીપેરીંગ થતું જ આવ્યું છે. જો એમ જ થતું હોય તો વરાછા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાનને પણ રિડેવલપ કરવાની જરૂર છે. તેના પર શા માટે કોઈ વિચાર કરવામાં નથી આવતો?
આ પહેલા પણ કુમાર કાનાણી વરાછા બેઠક હવે ભાજપ માટે જીતવી મુશ્કેલ થઈ ગઈ હોવાનું કહી ચુક્યા છે. રસ્તા, ખાડા, ટ્રાફિક, ગેરકાયદેસર બાંધકામ જેવા પ્રશ્ને તેમણે મનપા તંત્ર અને શાસકોને ફિક્સમાં મૂકી દીધા છે. ત્યારે હવે ફરી એકવાર ભેસ્તાન લેક ગાર્ડન રી ડેવલપેમન્ટ મુદ્દે રજુઆત કરવામાં આવતા શાસકો ભીંસમાં મુકાયા છે.
એક તરફ વરાછામાં પાટીદાર વોટ બેન્કને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખુદ ભાજપના જ ધારાસભ્ય દ્વારા શાસકોને સણસણતો સવાલ પૂછવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
વિવાદોનું બીજું નામ કુમાર કાનાણી
આરોગ્ય મંત્રી તરીકે કુમાર કાનાણીને રાજ્ય સરકારના મંત્રી મંડળમાંથી પડતા મુકાયા બાદ કુમાર કાનાણી દ્વારા વરાછા બેઠકને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ભાજપના જ મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. જેથી આ બેઠક જીતવી ભાજપ માટે મુશ્કેલ છે. મંત્રી પદેથી હટાવ્યા બાદ કુમાર કાનાણી દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહેવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વિરોધ પક્ષના નેતાનો પણ સણસણતો સવાલ
વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી સત્તા અને સંગઠન સાથે સંકળાયેલા કુમાર કાનાણી અને પોતાની રાજકીય કારકિર્દીને ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. હવે ધારાસભ્ય પદ ગુમાવવાના ડરે કુમાર કાનાણી દ્વારા યેન કેન પ્રકારે ચર્ચામાં રહેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જોકે આ સંદર્ભે હજી સુધી શાસકોએ મગનું નામ મરી પાડ્યું નથી અને આગામી દિવસોમાં શાસકો દ્વારા આ સંદર્ભે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર વિરોધ પક્ષની પણ નજર રહેશે તેમાં પણ કોઈ બેમત નથી.
આ પણ વાંચો : સુરત શહેરમાં ખાણીપીણી વેચતા વાહનો હવે એક સરખા રંગમાં દેખાશે, મોબાઈલ ફૂડ કોર્ટ પોલિસીને મળી મંજૂરી
આ પણ વાંચો : Surat : સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી સમરસ હોસ્ટેલનું સંચાલન કરવા નર્મદ યુનિવર્સીટીની તૈયારી