Surat : શહેરમાં એક જ પરિવારના વધુ સભ્યો સંક્રમિત થવાનું શરૂ, આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા
નાના ઘરને કારણે આ સંક્ર્મણ વધારે ફેલાવવાની પણ ભીતિ રહેલી છે. તેવામાં કોવિડ આઇસોલેશન સેન્ટરમાં ઘર જેવા જ વાતાવરણમાં લોકોને સારવાર મળી રહે છે. ત્યારે હવે સંક્ર્મણ વધતા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાની પણ તૈયારીઓ થઇ ગઈ છે,
શહેરમાં કોરોનના(Corona ) કેસોમાં વિસ્ફોટને પગલે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટ૨ , ઓક્સિજન સહિતની તૈયારીઓ ઉપરાંત ભૂતકાળના અનુભવને આધારે વિવિધ સમાજ , ટ્રસ્ટોના સથવારે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર (CCIC ) શરુ કરવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી હતી.
મનપા દ્વારા વિવિધ સમાજ અને ટ્રસ્ટોની સાથે દરેક ઝોનમાં બબ્બે સીસીઆઇસી તાત્કાલિક અસરે શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ સાત ઝોનમાં વિવિધ સમાજ અને ટ્રસ્ટના સહકારથી સાત જેટલા કોમ્યુનિટી કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં વરાછા – એ ઝોનમાં વધુ બે , વરાછા – બી , કતારગામ , ઉધના ઝોનમાં ત્રણ અને અઠવા ઝોનમાં સીસીઆઇસી શરુ કરવામાં આવશે. વિવિધ સમાજ , એનજીઓ ઉપરાંત વરાછા – બીમાં ધારાસભ્ય વી . ડી . ઝાલાવડિયા અને બુડિયાગામ રામજીવાડી ખાતે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા આઇસોલેશન સેન્ટર શરુ કરવામાં આવશે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સુરતમાં વધતા કેસોને લઈને સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં એક બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજ દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવા તૈયાર બતાવવામાં આવી હતી. આ આઇસોલેશન સેન્ટર શરૂ કરવા એટલા માટે પણ જણાઈ રહ્યા છે કે એક જ પરિવારના હાલ એક કરતા વધારે સભ્યો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે.
ત્યારે નાના ઘરને કારણે આ સંક્ર્મણ વધારે ફેલાવવાની પણ ભીતિ રહેલી છે. તેવામાં કોવિડ આઇસોલેશન સેન્ટરમાં ઘર જેવા જ વાતાવરણમાં લોકોને સારવાર મળી રહે છે. ત્યારે હવે સંક્ર્મણ વધતા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાની પણ તૈયારીઓ થઇ ગઈ છે,
પાલિકાનો સ્ટાફ પણ વધુ સંક્રમિત :
કોરોનાની ત્રીજી લહેરમાં સુરત મનપાના કર્મચારીઓ , અધિકારીઓ બરાબરના સકંજામાં આવી ગયા છે. મનપાની સેક્રેટરી બ્રાંચમાં વધુ 7 કર્મચારીઓ પોઝિટિવ સાથે ફક્ત સેક્રેટરી બ્રાંચમાં જ કુલ 13 પર પહોંચ્યો છે . મનપાના કાર્યપાલક ઇજનેર બી . આર . ભટ્ટ , તેજસ પટેલ , રાજેશ જરીવાલા , મહેશ ચાવડા , શહેર વિકાસ અધિકારી મનીષ ડોક્ટરનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે . આ ઉપરાંત આસિસટન્ટ મનપા કમિશનર ગાયત્રી જરીવાલા , એડિશનલ સિટી ઇજનેર ખતવાણી , ચીફ ફાયર ઓફિસર બસંત પરિખ તથા ઉધના ઝોનના ડેપ્યુટી આરોગ્ય અધિકારી દૂધવાલા , એઆરઓ કાયસ્થ સહિત અન્ય 9 કર્મચારી – અધિકારીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ભાજપના કોર્પોરેટર અને સ્લમ કમિટીના અધ્યક્ષ દિનેશ રાજપૂરોહિત પણ કોરોનાથી સંક્રમિત થયા છે. મનપાના અંદાજે 300 જેટલાં કર્મચારીઓ અધિકારીઓ ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થઇ ચૂક્યા છે. હાલ પરિસ્થિતિ એવી છે કે મનપા કમિશનર પાસે વિવિધ ઝોન – વિભાગની કામગીરીનો ચાર્જ સોંપવા માટે અધિકારીઓની તંગી પડી ગઇ છે.
આ પણ વાંચો : Surat : કોરોનાની અસરથી યુપી, બિહાર અને ઓરિસ્સાના કારીગરોની વતન તરફ દોટ
આ પણ વાંચો : Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ