Surat : સુરત હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાની દિશામાં, કોર્પોરેશન વર્ષના અંત સુધીમાં 100 ઈ-બસ દોડાવશે
હાલ શહેરમાં 1007 જેટલા ટુ વ્હીલર, બસ સહિતના ઇલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. વર્ષ 2024 સુધીમાં શહેરમાં 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો દોડતા થાય તે માટે મહાનગર પાલિકા લોકોમાં જનજાગૃતિ લાવવાના પણ પ્રયત્નો કરશે.
રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક બસ (Electric Bus) માટે નિયમો ઘડ્યા બાદ સુરત મહાનગર પાલિકાએ પણ પોતાની ઇલેક્ટ્રિકલ પોલિસી (Electric Policy) ઘડી છે. જેને સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકવામાં આવી છે. નોંધનીય છે કે હાલ સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં બીજી 50 જેટલી બસો શહેરના માર્ગો પર દોડાવવામાં આવશે. એટલે કે વર્ષના અંત સુધી સુરતના માર્ગો પર 100 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડતી થઇ જશે.
જોકે જાહેર પરિવહનમાં વધારા સાથે ઇંધણ અને પ્રદુષણ બચાવવા માટે મહાનગર પાલિકા વધુને વધુ ઇલેક્ટ્રિક બસો અને શહેરમાં પણ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સૂચિત ઇલેક્ટ્રિક વાહનોની નીતિમાં અમલ લાવવા જઈ રહી છે. સુરત મહાનગર પાલિકાએ હાલ 150 જેટલી ઈ-બસોનો ઓર્ડર આપી દીધો છે અને વધુ 150 ઇલેક્ટ્રિક બસોના ઓર્ડર માટે તજવીજ હાથ ધરી છે. આગામી વર્ષ 2024 સુધીમાં 300 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાના લક્ષ્યાંક સામે સુરત મહાનગર પાલિકા 500 ઇલેક્ટ્રિક બસ શરૂ કરવા ઈચ્છે છે. તેવું પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
આરટીઓ ઓફિસ તરફથી મળતા આંકડાના આધારે તેમને જણાવ્યું છે કે હાલ શહેરમાં 1007 જેટલા ટુ વ્હીલર, બસ સહિતના ઇલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. વર્ષ 2024 સુધીમાં શહેરમાં 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો દોડતા થાય તે માટે મહાનગર પાલિકા લોકોમાં જનજાગૃતિ લાવવાના પણ પ્રયત્નો કરશે. પાલિકા દ્વારા ચલાવવામાં આવતી બસની કિંમત 1.07 કરોડની છે. જેના પર સરકાર દ્વારા 45 લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે.
જૂન 2025 સુધી શહેરના માર્ગો પર 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો દોડાવવાનો મનપાનો લક્ષ્યાંક સુરત સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021ના વિભાગે તૈયાર કરેલા ડ્રાફ્ટ હેઠળ સુરતમાં 2025 સુધી 40 હજાર ઈલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉપલબ્ધ થાય તેવું આયોજન કરાયું છે. વાહનો માટે તબક્કાવાર 500 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. જે પૈકી 200 જેટલા ચાર્જિંગ સ્ટેશન મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયતાથી સ્થાપવામાં આવશે. 150 ચાર્જિંગ સ્ટેશન પીપીપી ધોરણે સ્થાપિત કરવામાં આવશે.
કમિશનરે ઉમેર્યું હતું કે મહાનગર પાલિકા પણ તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવવાનો વિચાર કરી રહી છે. જેથી પ્રદુષણ ન થાય અને ઇંધણ પણ બચાવી શકાય. ખાસ કરીને સૌ પ્રથમ સોલિડ વેસ્ટ વ્હીકલને ઈ વાહનોમાં ફેરવવામાં આવશે.
આ પણ વાંચો : Surat: બેલજીયમની અર્થવ્યવસ્થામાં ડાયમંડ ઉદ્યોગનો મોટો ફાળો: બેલજીયમ રાજદૂત
આ પણ વાંચો : Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ