Surat : કામરેજના પાંચ ગામોમાં ચોમાસામાં વીજ ધાંધિયાથી ભારે હાલાકી, ગ્રામજનોએ કર્યો જીઈબીના અધિકારીઓનો ઘેરાવો
આજે સેવણી સબ સેન્ટરમાં જીઈબીના(GEB) અધિકારીએ ગ્રામજનોનો રોષ પારખી બે દિવસમાં જ સંપૂર્ણ કામગીરી કરી દેવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો.
સુરત જિલ્લાના કામરેજ(Kamrej ) તાલુકાના કેટલાક ગામમાં આવેલ વીજ (Light ) કંપનીના ફીડરથી અપૂરતા વીજ પુરવઠાને લઈને અનેક ફરિયાદો(Complaint ) ઉઠી રહી છે. કામરેજ તાલુકાના સેવણી ગામના સબસેન્ટર માં સમાવિષ્ટ થતા ફીડરના પાંચ જેટલા ગામોમાં છેલ્લા એક મહિનાથી અપૂરતા વીજ પુરવઠાને લઈને ગ્રામજનો સમસ્યાનો ભોગ બની રહ્યા છે. ફરિયાદના અનુસંધાને વીજ કંપનીના અધિકારીઓ સેવણી ગામે તપાસ અર્થે આવતાં ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કરી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
એક બાજુ ચોમાસાની મોસમ ચાલી રહી છે. ત્યારે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી હતી. સતત બે દિવસથી રાત્રી દરમિયાન પાવર કટ થતા ગ્રામજનોએ વીજ પુરવઠા વગર અંધારામાં રાત્રી પસાર કરવાની નોબત આવી છે. આસ્તા ફીડર માં આવતા જાત ભરથાણા, સેગવા , જોખા , આસ્તા સહિતના પાંચ ગામોમાં વીજ પુરવઠાની આ સમસ્યા સર્જાઇ રહી છે.
ગ્રામજનોએ જીઇબીના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. જીઇબી દ્વારા લાંબા સમયથી કોઈપણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેના કારણે આ પાંચ ગામના સ્થાનિકોને ચોમાસાના સમયમાં વિજપુરવઠા બાબતે ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
સેવણી સબ સેન્ટરમાં જીઈબીના અધિકારીએ ગ્રામજનોનો રોષ પારખી બે દિવસમાં જ સંપૂર્ણ કામગીરી કરી દેવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો. સતત બે મહિનાથી અપૂરતા વીજ પુરવઠાની સામનો કરી રહેલા ગ્રામજનો એ અધિકારીઓ સામે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. તેમજ પાવર કાપ સમયે જવાબદાર જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજા પર ખો આપતા આવ્યા હોવાનો પણ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો . આવનાર દિવસોમાં આસ્તા ફીડર પર અપૂરતા વીજ પુરવઠાની સમસ્યાનું નિવારણ નહિ આવે તો પાંચ ગામના લોકોએ ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
જોવાનું એ રહેશે કે લોકોની આ ફરિયાદ બાદ જીઇબીના અધિકારીઓ દ્વારા પાંચ ગામોની વીજ ધાંધીયાની સમસ્યાનું કેવી રીતે નિરાકરણ લાવવામાં આવે છે.
Input Credit Jignesh Mehta (Bardoli )