Surat : આગામી દિવસમાં જો વરસાદ ન પડે તો અઠવાડિયામાં જ શહેરના રસ્તાઓને યુદ્ધના ધોરણે રીપેર કરી દેવાશે
આગામી દિવસોમાં જો વરસાદ નહીં પડે તો કોર્પોરેશન દ્વારા મંજુર કરાયેલા ટેન્ડરો મુજબ રસ્તાના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે.
ભારે વરસાદને (Rain ) કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ (Roads ) જર્જરિત બની ગયા હતા. છેલ્લાં 10 દિવસથી વરસાદે આંશિક વિરામ લેતા સુરત કોર્પોરેશન દ્વારા મોટા ભાગના તૂટેલાં રસ્તાઓ પર પેચવર્ક કરી થિંગડા મારી દેવામાં આવ્યા છે. હવે વરસાદની શક્યતા પ્રમાણમાં ઓછી છે. તેથી અઠવાડિયા બાદ મનપા દ્વારા રસ્તા કારપેટ-રીકારપેટના જે નવા ટેન્ડરો મંજૂર થયા છે તે ટેન્ડરરો પાસેથી કામગીરી શરૂ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સામાન્ય રીતે નવરાત્રિથી મનપા દ્વારા શહેરમાં રસ્તા કારપેટ-રીકારપેટની કામગીરી દર વર્ષે શરુ કરાવવામાં આવી છે, પરંતુ ભારે વરસાદને કારણે શહેરના ધોવાઇ ગયેલ રસ્તાઓ હાલ થિંગડા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું હોવાથી તંત્ર દ્વારા જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો બે અઠવાડિયા પહેલાથી જ રસ્તાના કારપેટ-રીકારપેટની કામગીરી શરુ કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
સુરત મ્યુનિસિપલ કમિશનરે પણ કયા ઝોનના કયા રસ્તા માટે કારપેટ-રીકારપેટના ટેન્ડરો મંજૂર થઇ ગયા છે? તે અંગે વિગતો મેળવી હતી અને કમિશનરે પણ આગામી એકાદ અઠવાડિયામાં રસ્તાના કારપેટ-રીકારપેટના કામો શરુ કરવાના સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.
શહેરના રસ્તાઓનું પેચવર્ક કરી તંત્ર દ્વારા કામચલાઉ રીતે થોડી રાહત કરી આપી છે, પરંતુ હજીય રસ્તાઓ મોટી સંખ્યામાં તૂટેલાં છે અને પેચવર્કની કામગીરી પણ યોગ્ય રીતે થઇ નથી. રાજકીય પક્ષોના કોર્પોરેટરો અને લોકોની ફરિયાદોને પગલે તંત્ર દ્વારા હવે જે રસ્તાઓના ટેન્ડરો મંજૂર થઇ ગયા છે તેની કામગીરી આગામી એક અઠવાડિયામાં શરુ કરવાના નિર્દેશ મળી રહ્યા છે. એટલું જ નહીં, જે રસ્તાઓ આખા રીકારપેટ કરવાની જરૂરિયાતો છે, પરંતુ ટેન્ડરો મંજૂર થયા નથી તેવાં રસ્તાઓ માટેના ટેન્ડરો પણ તાબડતોડ બહાર પાડવા અને જે-તે કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકવાની ઝોન-વિભાગોને સૂચના આપવામાં આવી છે.
આમ, આગામી દિવસોમાં જો વરસાદ નહીં પડે તો કોર્પોરેશન દ્વારા મંજુર કરાયેલા ટેન્ડરો મુજબ રસ્તાના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે. ઝોન વાઇઝ તૂટેલા રસ્તાઓની વિગતો મંગાવીને આ દિશામાં કાર્યવાહી કરવા તાકીદે સૂચના પણ આપવામાં આવી છે.