સંજોગોએ અલગ કર્યા, પણ સંતાને એક કર્યા, જાણો સુરતના દંપતિના છુટાછેડાની True Story
સુરતના (surat) સીંગણપોર વિસ્તારમાં રહેતી રાજેશ્રીના લગ્ન ઉમરવાડા ખાતે રહેતા રાજેશ કદમ સાથે સને 2011માં થયા હતા. લગ્ન થકી તેમને એક પુત્ર અને પુત્રી છે.
સુરતની (surat )અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટમાં (Family Court) લોક અદાલત યોજાઈ હતી. જેમાં બે પક્ષકારો વચ્ચે ચાલતા ભરણપોષણના કેસ, લગ્નવિષયક દાવાઓ તેમજ પરચુરણ અરજીઓ મળી કુલ 304 કેસ ચલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોક અદાલતમાં નજીવી બાબતોને લઇ પતિ પત્ની વચ્ચે થયેલી તકરારોમાં કેટલાક યુગલો ફરીથી એક થયા હતા.
જેમાં સુરતના સીંગણપોર વિસ્તારમાં રહેતી રાજેશ્રીના લગ્ન ઉમરવાડા ખાતે રહેતા રાજેશ કદમ સાથે સને 2011માં થયા હતા. લગ્ન થકી તેમને એક પુત્ર અને પુત્રી છે. જોકે બંને વચ્ચે કોઇને કોઇ કારણોસર ઝઘડા થતા બંને 2020થી અલગ રહેવા લાગ્યા હતા. પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ પણ કર્યો હતો. આ કેસ લોક અદાલતમાં ચાલતા બંને પક્ષકારો વચ્ચે સમજાવટને પગલે સમાધાન થયું હતું.
નવાગામ ખાતે રહેતી સંગીતા પેઢારકરના લગ્ન લિંબાયતના મેતુલ પેઢારકર સાથે વર્ષ 2015માં થયા હતા. બંનેને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી નો જન્મ થયો હતો. દરમિયાન પતિ પત્ની વચ્ચે તકરારો ઉભી થતા પત્રી પિયરમાં ચાલી ગઇ હતી અને પતિ ઉપર ભરણપોષણનો કેસ કર્યો હતો.
બંને પક્ષકારો લોક અદાલતમાં સમાધાનમાં આવતા પત્રી તરફે મહિલા એડવોકેટ પ્રીતિ જોષીએ સમાધાનનો પ્રયાસ કર્યો હતો. સંયુક્ત કુટુંબને કારણે પતિને સમજાવતા પતિને ભાડેના ઘરમાં રહીને લગ્નજીવનને આગળ વધારવા તૈયારી બતાવતા બંને પક્ષ વચ્ચેની તકરારનો અંત આવ્યો હતો.
એડવોકેટ પ્રીતિ જોશીએ જણાવ્યું હતું કે નજીવી તકરારમાં પતિ પત્ની કેટલીક વાર અહમને કારણે એકબીજા સાથે છુટા થઈ જવાનો નિર્ણય લઈ લેતા હોય છે. પરંતુ સંતાનો પર તેની વિપરીત અસરો થતી હોય છે. માતા પિતાના અલગ થવાથી પરિવારનો આખો માળો વિખેરાઈ જતો હોય છે, આવા કિસ્સાઓમાં અમે સંતાનોને કેન્દ્રસ્થાને રાખીને પતિ પત્ની વચ્ચે સમાધાન નો સુખદ ઉકેલ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. અને મોટા ભાગના કિસ્સાઓમાં જ્યાં પતિ પત્ની સમજદાર હોય તો તેઓ સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને બધા મતભેદોને ભૂલીને ફરી એક થઈ પણ જતા હોય છે.