Surat : આવી રીતે બનશે સ્વચ્છતામાં સુરત નંબર 1 ? કોર્પોરેશન કચેરી બહાર જ જોવા મળ્યા કચરાના ઢગ
જો મહાનગરપાલિકા(SMC) આવા લોકો સામે શિક્ષાત્મક પગલાં નહીં ભરે અને આવા સ્થળોએ કચરો નાખવાની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં જે જોવા મળ્યું છે તેનાથી પણ સુરત શહેર હજીઆગળ વધી શકે છે.
સુરત(Surat ) મહાનગરપાલિકા(SMC) દ્વારા સ્વચ્છતા(Cleanliness ) માટે ઘણી બધી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ દીવા તળે અંધારા જેવો કારભાર સુરત મહાનગરપાલિકા પાસે જ જોવા મળ્યો છે. કારણ કે સફાઈ કર્યા પછી પણ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાછળ લોકો કચરાના ઢગલા કરે છે. સુરત મનપા દ્વારા શહેરમાંથી કચરાના કન્ટેનર હટાવ્યાને ઘણા વર્ષો થયા હોવા છતાં તે જગ્યાએ કચરો નાખવાની લોકોની આદત હજુ સુધરી નથી. કચરો ફેંકનારાઓ સામે કોર્પોરેશન દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન થતાં સુરતના અનેક વિસ્તારોમાં ફરી ગંદકી જોવા મળી રહી છે.
એકતરફ શહેરને સ્વચ્છતામાં આગળ લઇ જવા માટે સુરત મહાનગરપાલિકા અભિયાન ચલાવી રહી છે. લોકોને સ્વચ્છતા માટે જાગૃત પણ કરી રહી છે. પણ કેટલાક લોકોમાં હજી પણ સિવિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે શહેરમાં અનેક સ્પોટ પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જે સુરત શહેરને સ્વછતા ક્રમાંકથી પાછળ રાખી શકે છે.
આમ તો સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અગ્રેસર છે પરંતુ આ સ્પર્ધામાં સુરત શહેરને પાછળ રાખવા માટે માત્ર થોડા સુરતીઓ કાર્યરત છે તેવું ફલિત થઇ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા અચાનક શહેરને કન્ટેનર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય કરીને કન્ટેનર બંધ કરી દીધા હતા. પરંતુ કન્ટેનર બંધ થયા બાદ સુરત શહેરમાં હજુ પણ એવા સ્થળો છે જ્યાં કન્ટેનર ન હોવા છતાં લોકો જાહેર માર્ગો પર કચરો નાખીને કચરો નાંખી રહ્યા છે.
કયા છે એ સ્થળો જ્યાં હજી પણ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ?
સુરત શહેરના મધ્ય ઝોનમાં આવેલા એકતા સર્કલથી કાદરશાની નાળ સુધીનો વિસ્તાર એવો છે જ્યાં પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હોવા છતાં આ વિસ્તારના રહીશોએ રોડ ડિવાઈડરને જાણે ડસ્ટબીનમાં ફેરવી દીધા છે. લોકો હંમેશા આ રોડ પર જાહેરમાં કચરો ફેંકીને રોડને ગંદો કરી દે છે. તેવી જ રીતે પાલનપુર કેનાલ રોડ પર પશુપાલકો દ્વારા જાહેર જનતા વચ્ચે રોડ પર કચરો નાંખીને શહેરની સુંદરતાને કલંકિત કરી રહ્યા છે. આ ઉપરાંત કતારગામના કન્ટેનર સ્પોટ જામપા બજારમાં પણ જાહેરમાં જ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.
આવા તો એક નહીં પણ અસંખ્ય જાહેર સ્થળો એવા જણાઈ આવ્યા છે. જ્યાં કન્ટેનર હટાવ્યા બાદ કોર્પોરેશનની કામગીરી પર પાણી ફરી વળ્યું છે. કારણ કે લોકોમાં સિવિક સેન્સના અભાવે તેઓ કચરાપેટી હટાવ્યા બાદ હવે જાહેરમાં જ કચરો ફેંકવામાં પણ શરમાતા નથી.
એટલું જ નહીં કેટલાક લોકો તો મહાનગરપાલિકાના મુખ્ય કચેરીની પાછળની દિવાલની બાજુમાં જ કચરો ફેંકી રહ્યા છે. આ સ્થળે એક શાળા પણ છે અને ધાર્મિક સ્થળ પણ છે. પાલિકા દ્વારા કન્ટેનર હટાવવાના કારણે હવે લોકોએ શહેરના માર્ગો પર આડેધડ કચરો ફેંકવાનું શરૂ કર્યું છે. જો મહાનગરપાલિકા આવા લોકો સામે શિક્ષાત્મક પગલાં નહીં ભરે અને આવા સ્થળોએ કચરો નાખવાની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં જે જોવા મળ્યું છે તેનાથી પણ સુરત શહેર હજીઆગળ વધી શકે છે. અને સુરતને સારો ક્રમાંક મળી શકે છે.