Surat : રખડતા કૂતરાઓના આતંકથી ઉમરવાડામાં ફફડાટ, 9 લોકોને બચકા ભરી લેતા લોકોમાં ભય
ઉમરવાડા(Umarvada ) વિસ્તારમાં આવેલ બાખડ મોહલ્લામાં કેટલાક બાળકો રમતા હતા ત્યારે અચાનક આવેલા એક કૂતરાએ એક પછી એક બાળકોને બચકા ભરવાનું શરૂ કર્યું હતું.
શહેરમાં(Surat ) છેલ્લા કેટલાક દિવસથી ઠેર ઠેર વિસ્તારોમાં રખડતા (Stray Dogs) કૂતરાઓનો આતંક વધી ગયો હોય તેવું જણાઈ આવી રહ્યું છે. બે દિવસ અગાઉ ભટાર(Bhatar ) વિસ્તારમાં ત્રણેક જેટલા કુતરા એક વૃદ્ધ મહિલા ઉપર તૂટી પડયા હતા અને તેમને શરીરે બચકા ભરી ઘાયલ કરી દીધા હતા.એટલું જ નહિ આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.
દરમિયાન આજે સવારે ઉમરવાડા વિસ્તારમાં 5થી 6 જેટલા બાળકોને જયારે માનદરવાજા વિસ્તારમાં પણ ત્રણ જેટલા વ્યક્તિઓને કૂતરાઓએ બચકા ભરતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો અને ભારે નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા બાળકો તેમજ ત્રણે વ્યક્તિઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પ્ટિલમાં ખસેડાયા હતા હતા.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ઉમરવાડા વિસ્તારમાં આવેલ બાખડ મોહલ્લામાં કેટલાક બાળકો રમતા હતા ત્યારે અચાનક આવેલા એક કૂતરાએ એક પછી એક બાળકોને બચકા ભરવાનું શરૂ કર્યું હતું. ડરીને ગભરાઇને બાળકો આમતેમ ભાગતા હતા જયારે કુતરાનો આતંક જોઈ સ્થાનિકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી તેમજ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એક પછી એક કૂતરાએ 5 થી 6 જેટલા બાળકોને ભચકા ભર્યા હતા.
જેમાં 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના બાળકો હતા.આ તમામ બાળકોને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટલુંજ નહીં આ સિવાય માંનદરવાજા વિસ્તારમાં રહેતા ત્રણ વ્યક્તિઓને પણ કૂતરાએ બચકા ભર્યા હતા તેઓને પણ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કુતરાના આતંકને પગલે લોકો ગભરાઈ ગયા હતા.નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ડોકટોરની ટીમ કામે લાગી ગઈ હતી અને તેઓને ડોગ બાઈટના ઇન્જેક્શનો આપવાની સાથો સાથ જરૂરી સારવાર આપવામાં આવી હતી. આમ, એક બાદ એક અનેક વિસ્તારોમાં અસંખ્ય લોકોને કુતરા કરડવાના બનાવો સામે આવતા લોકો હવે કોર્પોરેશન પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.