Surat: કોરોના અખાત્રીજ પર પણ પડ્યો ભારે, દર વર્ષ કરતાં આ વર્ષે સોનાનું વેચાણ ઘટ્યું
કોરોનાના કારણે આ વખતે અખાત્રીજની ખરીદી પર પણ મોટી અસર પડી છે. કોરોનાના કારણે આમ તો દરેક નાના મોટા ઉદ્યોગોને નુકશાન થયું છે.
અખાત્રીજ હિન્દૂ ધર્મમાં પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો અચુકથી સોનું ચાંદી ખરીદે છે. આ દિવસે ખરીદેલુ સોનુ કે અન્ય ધાતુ ખૂબ જ શુકનવંતું માનવામાં આવે છે પણ કોરોનાના કારણે આ વખતે અખાત્રીજની ખરીદી પર પણ મોટી અસર પડી છે. કોરોનાના કારણે આમ તો દરેક નાના મોટા ઉદ્યોગોને નુકશાન થયું છે.
ત્યારે મીની લોકડાઉનને કારણે આ વર્ષે જવેલર્સ બંધ રહ્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે 100 કરોડથી પણ વધુ સોનાના દાગીનાનું વેચાણ થાય છે પણ આ વર્ષે કોરોનાના કારણે દુકાનો બંધ હોવાથી ફક્ત 10 કરોડના જ સોનાના ઘરેણાંનું વેચાણ થઈ શક્યું છે. આ વેચાણ પણ ફક્ત ઓનલાઈન જ થયું છે. જેની ડિલિવરી 18 મે પછી કરવામાં આવશે.
લગ્નસરાની સિઝન શરૂ થાય એટલે લોકો લગ્નપ્રસંગની ખરીદી અખાત્રીજના દિવસે જ કરે છે. લગ્નસરાની 20 ટકા ખરીદી ફક્ત અખાત્રીજના દિવસે જ કરવામાં આવે છે. અખાત્રીજને લઈને જવેલર્સને દર વર્ષે અંદાજે 100 કરોડનો વેપાર મળતો હોય છે.
આ વર્ષે પણ અખાત્રીજના દિવસે દુકાનો ખોલવા જવેલર્સે સરકાર પાસે મંજૂરી પણ માંગી હતી પણ રાજ્ય સરકારની ગાઈડલાઈનને જોતા દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આ મીની લોકડાઉનને કારણે ઓનલાઈન ફક્ત 10 કરોડનું જ બુકીંગ થઈ શક્યું છે. કેટલાક લોકોએ અખાત્રીજનું મુહૂર્ત સાચવવા માટે ફક્ત શુકનની ખરીદી કરી છે. જેની ડિલિવરી તેમને મીની લોકડાઉન પૂર્ણ થયા બાદ એટલે કે 18 મે પછી મળશે.
નોંધનીય છે કે જ્યારે કોરોનાના કારણે દરેક વેપાર પર અસર પડી છે. ત્યારે જવેલર્સને પણ આ વખતે મોટો ફટકો પડયો છે. મીની લોકડાઉનને પગલે લોકો બહાર નથી નીકળી શકતા તેમજ લોકોની આર્થિક સ્થિતિ પણ હાલમાં નબળી હોવાથી ધાર્યા એટલી ખરીદી થઈ શકી નથી.
આ પણ વાંચો: Lockdown In Bengal: બંગાળમાં સંપૂર્ણ LOCKDOWN, જાણો અત્યાર સુધી કેટલા રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધો