Surat : પૂર્વ મંત્રી ગણપત વસાવાએ ફરી કર્યા કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું બાવળીયા વાવ્યા હોય તો આંબા ક્યાંથી મળે ?
ગુજરાતની (Gujarat )વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં કોંગેસના એક પણ નેતા બચ્યા નથી. અહીં આ પાર્ટીનું બધું વેર વિખેર થઇ ગયું છે. જોકે ચૂંટણી આવી છે એટલે હવે બધા જ ગુજરાત પર તૂટી પડશે.
વિધાનસભા ચૂંટણી (Election ) નજીક આવતા જ રાજકીય (Political ) પક્ષોના એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઇ ગયો છે. નેતાઓએ પોતાની વિરોધી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કરીને પોતાના મતદારોને રિઝવતા દેખાઈ રહ્યા છે. હાલમાં જ સુરતના સોશિયલ મીડિયામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસવાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા હતા.
આ વિડીયો માંગરોળ તાલુકાના ભડકૂવા ગામમાં યોજાયેલી એક સભાનો હોવાનું માલુમ પડ્યું છે. સભાને સંબોધન કરતાગણપત વસાવાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેઓએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી 130 વર્ષ જૂની પાર્ટી છે, પણ તેમ છતાં છેલ્લા 10 વર્ષથી આ પાર્ટીમાં કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે પણ તૈયાર થતું નથી. તેઓએ કટાક્ષ કરતા એ પણ ઉમેર્યું હતું કે ખેતરમાં બાવળીયા વાવ્યા હોય અને આંબા માંગે તો ક્યાંથી મળે ?
હિન્દૂ વિરોધી તત્વો ગુજરાત પર તૂટી પડશે : ગણપત વસાવા
ગુજરાતની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં કોંગેસના એક પણ નેતા બચ્યા નથી. અહીં આ પાર્ટીનું બધું વેર વિખેર થઇ ગયું છે. જોકે ચૂંટણી આવી છે એટલે હવે બધા જ ગુજરાત પર તૂટી પડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જે દેશ વિરોધી તત્વો હશે, હિન્દૂ ધર્મ વિરોધી તત્વી હશે તેઓ હવે ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં તૂટી પડશે.
કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતા તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ એની જાતે જ પુરી થઇ ગઈ છે. જે કર્મો કરેલા હોય તે ભોગવવા તો પડે જ. આ વિડીયો માંગરોળ તાલુકાના ભડકૂવા ગામમાં યોજાયેલી સભાનો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતા અને ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે તે જોતા હવે કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. આ પહેલા પણ ગણપત વસાવા કોંગ્રેસને ડુબતું જહાજ ગણાવી ચુક્યા છે.
ઈનપુટ ક્રેડીટ- સુરેશ પટેલ- ઓલપાડ