Surat: મસાલામાં ભેળસેળ પડશે ભારે, મસાલા વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગનું ચેકીંગ
જો કોઈ ભેળસેળ(Mixing ) માલુમ પડે છે તો વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં તમામ ઝોનમાં આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.
ઉનાળામાં (Summer) મરી મસાલો લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભરતા હોય છે. જે વર્ષભર ચાલેએ પ્રકારનો મસાલો ગૃહિણીઓ (House wife) ભરતી હોય છે. શહેરના લગભગ તમામ ઝોનમાં આ પ્રકારના મરી મસાલાના સ્ટોલ ઉભા થઈ જતા હોય છે. આ સિઝનલ ધંધો છે. મરી મસાલામાં ભેળસેળ ન કરે તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ઝોનમાં એક સાથે ચેકિંગ હાથ ધરાયું હતું. આમ તો પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સમય અંતરે અલગ અલગ ડેરીઓ કે સિઝન પ્રમાણે દુકાનોમાંથી સેમ્પલો લેતા હોય છે અને પછી કાર્યવાહી પણ થતી હોય છે.
સુરત ફૂડ સેફટી વિભાગની ટીમ દ્વારા આજે મરી મસાલાના સ્ટોર ઉપર પહોંચીને સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં હળદર, મરચું સહિતનો મરી મસાલો ભરવાની પ્રથા છે. આ સમય દરમિયાન કેટલાક મરી-મસાલાનો વેપાર કરતા દૂધ લેતા આવો હળદર અને લાલ મરચાની અંદર ઘણી વખત કલર પણ મિક્સ કરી દેતા હોવાના બનાવો સામે આવ્યા છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેના માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ફૂડ સેફટી અધિકારી ડી કે પટેલે જણાવ્યું કે આજે તમામ ઝોનમાં આરોગ્ય કમિશનરના આદેશ અને માર્ગદર્શન હેઠળ આજે મસાલાની દુકાનો પર જઈને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકો ઉનાળાની સિઝનમાં મસાલા ખરીદતા હોય છે. જેમાં કોઈ અખાદ્ય પદાર્થનું ભેળસેળ ન થાય તેને માટે સેમ્પલ તપાસવામાં આવી રહ્યા છે. આ મરી મસાલાનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે. રીપોર્ટમાં કંઈ પણ અયોગ્ય જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી ઉનાળાની સિઝનને લઈને કેરી, અન્ય ફળફળાદિ, કેરીનો રસ અને હવે મસાલાના વિક્રેતાઓને ત્યાં લાલ આંખ કરવામાં આવી છે. તેમજ જો કોઈ ભેળસેળ માલુમ પડે છે તો વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં તમામ ઝોનમાં આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.