Surat: ટેબ્લેટ વિવાદનો અંત, હવે યુનિવર્સીટી ન મળેલા ટેબ્લેટના રૂપિયા પરત આપશે
છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ટેબ્લેટને લઈને રજૂઆતો કરતા આવ્યા હતા. હવે તેનો સુખદ ઉકેલ આવ્યો છે.
Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં(VNSGU) ટેબ્લેટ(tablet ) વિવાદનો આખરે અંત આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણ્યા પછી પણ જે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી મળ્યા તેમને હવે ટેબ્લેટના રૂપિયા પરત કરવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં અરજી આપીને જાણકારી આપવાની રહેશે કે તે કઈ કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે જ ટેબ્લેટ માટે પૈસા આપ્યાની રસીદ પણ જમા કરાવવી પડશે.
શૈક્ષણિક વર્ષ 2019 20 દરમિયાન સરકાર ની ટેબલેટ યોજના અંતર્ગત નોંધાયેલાવિદ્યાર્થીઓ પૈકી 30 હજાર ટેબલેટ સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ફી સહિત સફળતા પૂર્વક નોંધણી થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 10,973 વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવાના બાકી છે. આ માટે વારંવાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારની સંબંધિત કચેરી પર જઈને પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ વિદ્યાર્થીઓને બાકી ટેબલેટ મળી શક્યા નહોતા.
રાજ્ય સરકારે વર્ષ 2017માં રૂ.1 હજારમાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પણ એ પછી ગયા વર્ષે કોરોના પેનડેમીકને કારણે યોજના હેઠળ ટેબ્લેટ મળી શક્યા નહોતા. ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ લેવાનું માંડી વાળ્યું હતું.
વર્ષ 2020માં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પાસેથી ટેબલેટ માટે રૂપિયા લીધા હતા. પછી સરકાર દ્વારા ટેબલેટ મોકલવામાં આવ્યા ન હતા. તેના ઉપર સતત વિવાદ ચાલી રહ્યો હતો. જેને જોતા હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રૂપિયા પરત કરવાનો નિર્ણય લીધો છે. કુલ દસ હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે જેના માટે વિદ્યાર્થીઓએ ઘણી વખત યુનિવર્સિટીમાં આંદોલન પણ કર્યું હતું.
બીજી તરફ માહિતી મળી છે કે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની પ્રક્રિયા 1 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ચાલશે. હવે વિદ્યાર્થીઓ પાસે બે જ વિકલ્પ છે જો વિદ્યાર્થી રૂપિયા પરત લેવા માંગે છે તો તે લઈ શકે છે અથવા તો વિદ્યાર્થી પૈસા લઈને ટેબલેટ લેવા માંગે છે તે રાહ જોઈ શકે છે. જોકે આ રીતે યુનિવર્સીટીમાં લાંબા સમયથી ટેબ્લેટને લઈને વિદ્યાર્થીઓની જે માંગણી હતી તે સંતોષાઈ છે. હવે આજ્જથી વિદ્યાર્થીઓ અરજી કરીને ટેબ્લેટના રૂપિયા પરત મેળવી શકશે.