Surat: ચોમાસુ શરૂ નથી થયું ત્યાં જર્જરિત બિલ્ડીંગ પડવાની ઘટના શરૂ, સદનસીબે જાનહાની ટળી
Surat : હજી તો ચોમાસુ શરૂ નથી થયું ત્યાં સુરતમાં જર્જરીત બિલ્ડિંગના પડવાની ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે. સુરતના ઉધના વિસ્તારમાં અંબર કોલોની પાસે આવેલ એક જર્જરિત અને જૂની બિલ્ડીંગના પહેલા માળની ગેલેરી પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Surat : હજી તો ચોમાસુ શરૂ નથી થયું ત્યાં સુરતમાં જર્જરીત બિલ્ડિંગના પડવાની ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે. સુરતના ઉધના વિસ્તારમાં અંબર કોલોની (Amber colony) પાસે આવેલ એક જર્જરિત અને જૂની બિલ્ડીંગના પહેલા માળની ગેલેરી પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે આ ઘટના સવારના સમયે બની હતી અવર જવર ઓછી હોવાથી કોઇ જાનહાનિ નોંધાઈ નથી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સુરતના ઉધના વિસ્તારમાં અંબર કોલોની નજીક આવેલ ચાર માળની લક્ષ્મી એપાર્ટમેન્ટની બિલ્ડીંગનો પહેલા માળની ગેલેરીનો ભાગ પડી ગયો હતો. સ્થાનિક લોકોનું માનીએ તો આ બિલ્ડીંગ ખૂબ જૂની છે.
ગેલેરીનો ભાગ પડ્યો ત્યારે સવારનો સમય હતો, જેથી લોકોની અવરજવર ઓછી હતી. ગેલેરીનો ભાગમાં વાહન પર તૂટી પડતા અનેક વાહનોને નુકસાન થયું હતું. પરંતુ સદનસીબે કોઈપણ જાનહાની નોંધાઇ ન હતી.
આ ઘટનાની કોઈ જાણકારી ફાયર વિભાગ પાસે નહોતી. પરંતુ સ્થાનિકો દ્વારા પાલિકાને જાણ કરાતા પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. સુરત પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો .
ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખાનગી જગ્યા પર બનેલી આ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં 36 ફ્લેટ આવેલા છે. પરંતુ ગેલેરીનો ભાગ જે રીતે તૂટી પડયો તેના પરથી અધિકારીઓને આ બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત થઇ ગઇ હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી બિલ્ડિંગમાં રહેતા રહેવાસીઓ તાત્કાલિક અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. જો તેમની પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો તેઓને નજીકની શાળામાં સામાન મુકવા બે-ચાર દિવસની વ્યવસ્થા કરી આપવાની તૈયારી પણ બતાવવામાં આવી હતી.
નોંધનિય છે કે સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી છે.
સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં છે. મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે. તેમાંથી 52 બિલ્ડીંગને તોડવા માટે કહેવામાં આવ્યું છે. જોકે મહાનગર પાલિકાએ નોટિસ આપવા ઉપરાંત અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી.
પાંચ દિવસ પહેલા જ સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં પણ એક બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા.