Surat: રેલવે સ્ટેશન પર બંધ કરાયેલી પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરવા માંગ
કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું હોય સુરત રેલવે સ્ટેશનમાં (Surat Railway Station) યાત્રિકોની અવરજવર વધી છે. ત્યારે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket ) શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર હાલ બંધ કરાયેલી પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket) ફરી એકવાર શરૂ કરવા માટે રેલવેના ZRUCC સભ્ય રાકેશ શાહે પશ્ચિમ રેલવેના અધિકારીઓને રજૂઆત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી રેલવેના તમામ સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટ આપવાનું કામ બંધ કરવામાં આવ્યું હતું.
પરંતુ હવે જ્યારે કોરોનાનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે રેલવે સ્ટેશન પર અવરજવર કરતા યાત્રીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેવા સમયે એકલી મહિલાઓ, બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ, સિનિયર સિટીઝન સામાન સાથે મુસાફરી કરતા હોય છે, ત્યારે ટ્રેન સુધી બેસાડવા આવતા તેમના સગા સંબંધી કે મિત્રોને રેલવે સ્ટેશન બહારથી જ પરત ફરવું પડતું હોય છે. તેને કારણે તેઓ ટ્રેન સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફનો સામનો કરે છે.
વળી કુલી પાસે સામાન મોકલવા માટે ભાવ ન જામવાને કારણે તેઓને પોતાનો સામાન પણ જાતે લઈને જવું પડે છે. જેમાં પણ તેમને ખૂબ મુશ્કેલી પડે છે. ઘણી વખત યાત્રીઓની સાથે તેમને મુકવા આવેલા તેમના પરિવારજનો રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે. પરંતુ જ્યારે પરત આવે છે, ત્યારે ટીટી દ્વારા આ મામલે રકઝક પણ થાય છે અને તેઓને દંડ પણ ભરવો પડે છે. આવા બનાવો ખૂબ જ વધી ગયા છે.
જેને ધ્યાનમાં રાખીને ZRUCC મેમ્બર રાકેશ શાહ દ્વારા આ મામલે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પત્ર લખીને બધા નાગરિકો માટે અથવા તો એકલા મુસાફરી કરવા આવતા આવા લોકો માટે પ્લેટફોર્મ ટિકિટ તાત્કાલિક ચાલુ કરવા જેવા ઝેડઆરયુસીસી સભ્ય રાકેશ શાહે રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Devbhumi Dwarka: ખંભાળિયામાં ફરી ગુંજ્યો ગૌશાળાનો મુદ્દો, આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા