Surat : કોર્પોરેશને ત્રણ વર્ષમાં 13 હજારથી વધુ રખડતા ઢોરોને પકડીને સવા કરોડથી વધુનો દંડ વસુલ્યો
મહાનગરપાલિકા (SMC) દ્વારા પ્રથમ વખત અને બીજી વખત પકડાતા રખડતા ઢોરના માલિક પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ પછી જો બેવાર પકડાઈ ગયેલ ત્રીજીવાર ઢોર પકડાય તો તેને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે.
ગુજરાતના (Gujarat ) લગભગ તમામ શહેરોમાં રસ્તાઓ પર મુક્તપણે રખડતા ઢોરની મોટી સમસ્યા છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો (Accident ) ભોગ પણ બને છે. આવી સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટ(High Court )ની સૂચના પર રાજ્ય સરકારે કડક કાયદો બનાવ્યો, પરંતુ વિરોધના કારણે તેનો અમલ કરી શક્યો નહીં. જોકે મ્યુનિસિપલ કક્ષાએ આ માટેના નિયમો છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાએ આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરી ત્રણ વર્ષમાં સાડા તેર હજારથી વધુ પશુઓને રસ્તા પરથી પકડીને સવા કરોડથી વધુનો દંડ વસૂલ્યો હતો.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેરના પાલનપોર, અડાજણ, પાલ, ભટાર, મોટા વરાછા, કાપોદ્રા, કતારગામ, કોઝવે રોડ અને પાંડેસરા વિસ્તારમાં પશુપાલકો તેમના પશુઓને રસ્તા પર ખુલ્લા મુકી દે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાય છે સાથે જ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગો પર રખડતા પશુઓને જપ્ત કરવા અને માલિકોને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. મહાનગરપાલિકાએ પ્રાણીઓને પકડવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવાના ત્રણ વર્ષનો ડેટા જાહેર કર્યો છે.
આ આંકડાઓ મુજબ વર્ષ 2019-20 માં મહાનગરપાલિકાની ટીમ દ્વારા 5438 પશુઓ પકડાયા હતા અને માલિકો પાસેથી 41.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તે જ સમયે, વર્ષ 2020-21 માં, 2939 પશુઓને પકડીને 31 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ 2021-22માં સૌથી વધુ સાડા છ હજાર પશુઓ પકડીને પશુ માલિકો પાસેથી રૂ. 68 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
6 હજાર પશુઓ પાંજરાપોળમાં મોકલાયા
મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત અને બીજી વખત પશુના માલિક પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ પછી જો તે જ પ્રાણી પકડાય તો તેને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે. ત્રણ વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી કુલ 14,792 પશુઓ પકડાયા હતા. તેમાંથી 6 હજાર પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, લગભગ 9 હજાર પ્રાણીઓ તેમના માલિકો લઈ ગયા હતા
ચાર હજારથી વધુ શ્વાન પકડ્યા
રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યાની સાથે શહેરના લોકો રખડતા કૂતરાઓથી પણ પરેશાન છે. આવા સંજોગોમાં શ્વાનની સંખ્યાને અંકુશમાં લેવા માટે પાલિકા દ્વારા નસબંધીનું આયોજન ચાલી રહ્યું છે. જે અંતર્ગત છેલ્લા સાત મહિનામાં નગરપાલિકાએ 4373 કૂતરાઓને પકડી તેમાંથી 4000 ની નસબંધી કરી હતી.માર્કેટ વિભાગના જણાવ્યા અનુસાર, કૂતરાની નસબંધી માટે 1,450 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે સાત મહિનામાં કૂતરાઓની નસબંધી માટે મહાનગરપાલિકાની તિજોરીમાંથી રૂ.58 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :