Surat: દક્ષિણ ગુજરાતની પ્રથમ ઓપન જેલ ઓલપાડમાં બનાવવાની વિચારણા, કેદીઓને ટેક્સ્ટાઈલ-ડાયમંડનું કૌશલ્ય શીખવાડવામાં આવશે
બંધ જેલોમાં કેદીઓને રહેવાની સારી સ્થિતિ પૂરી પાડવામાં આવતી નથી અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. ઓપન જેલ તેમને વધુ સારી સ્થિતિમાં રહેવાની તક આપે છે અને ત્યાં કોઈ લઘુત્તમ સુરક્ષા નથી.
રાજયની આર્થિક રાજધાની (Financial Capital) ગણાતા સુરત (Surat) શહેરમાં વધતા જતા ક્રાઈમ રેટ (Crime Rate) વચ્ચે હવે જેલના કેદીઓને રોજગારી મળી રહે તે માટે વડોદરા બાદ સુરત જિલ્લામાં પણ ઓપન જેલ બનાવવાનું તેમજ કેદીઓને આજીવિકા મળી રહે તે તેવી વ્યવસ્થા ગોઠવવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેદીઓ ડાયમંડ , ટેક્સટાઈલ , પશુપાલન, ખેતી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
સુરત જિલ્લા મધ્યસ્થ જેલમાં હાલ હત્યા, લૂંટ અને ચોરી સહિતના ગંભીર કેસના આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. સુરતની લાજપોર જેલની ક્ષમતા 3 હજાર જેટલા કેદીઓની છે અને ઘણી વખત લાજપોર જેલ કાચા અને પાકા કામના કેદીઓથી ફુલ થઈ જતી હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.
એટલું જ નહીં પણ પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીઓ પૈકી મહત્તમ ગુનેગારો ટેક્સટાઈલ અથવા હિરાનો વ્યવસાય જાણતા હોય છે. તાજેતરમાં જ એકત્ર કરવામાં આવેલી એક માહિતીમાં સુરત જેલમાં સરેરાશ 70 ટકા કેદીઓ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝનું કામકાજ જાણતા હોવાનું નોંધવામાં આવ્યું હતુ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વડોદરાની જેમ હવે સુરતના ઓલપાડ વિસ્તારની સરકારી જમીનમાં ઓપન જેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી મળતી માહિતી મુજબ રાજય સરકાર ગૃહ વિભાગના માર્ગદર્શનમાં જમીનની પસંદગી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઓપન જેલમાં ડાયમંડ તેમજ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝની મોટાભાગની બાબતોને સમાવેશ કરવામાં આવશે, આ ઉપરાંત પાવર લૂમ્સ , એમ્બ્રોડરી મશીન , પશુપાલન તેમજ ખેતી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
વડોદરાની ઓપન જેલમાં આધુનિક સુવિધા
વડોદરાની જેલમાં આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં મેડીટેશન હોલ, લાઈબ્રેરી , વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, ઓપન થિયેટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર , ઈન્ડોર ગેમ હોલ , યોગા હોલ , કિચન , બાર્બર શોપ , ક્લોથીંગ સ્ટોર અને લોન્ડ્રીની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યારે ઓપન જેલની ગતીવિધિ પર વોચ રાખવા બે હાઈ માસ્ટ પોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.
ભારતમાં કુલ 63 ઓપન જેલ છે અને રાજસ્થાનમાં ઓપન જેલની મહત્તમ સંખ્યા 29 છે. જેલોને જેલ અધિનિયમ 1900 દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને દરેક રાજ્ય જેલો અંગે તેમની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરે છે. ભારતના દરેક રાજ્યનો પોતાનો જેલ કાયદો છે જેમ કે રાજસ્થાન કેદીઓ માટે નિયમ 1979. ખુલ્લી જેલની વિચારણા લાવવામાં આવી હતી, જેથી કેદીઓ કે જેઓનું વર્તન સારું હોય તેઓ સમાજ તેમને સ્વીકારશે નહીં તેવા ભય વિના સમાજમાં આત્મસાત થઈ શકે.
ઉપરાંત, તે કેદીઓને તેમના પરિવારના સભ્યો સાથે મળવાની અને સામાજીકીકરણની પ્રક્રિયામાં રહેવાની તક આપે છે. તે બંધ જેલમાં ભીડને પણ ઘટાડે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે બંધ જેલોમાં કેદીઓને રહેવાની સારી સ્થિતિ પૂરી પાડવામાં આવતી નથી અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.
ઓપન જેલ તેમને વધુ સારી સ્થિતિમાં રહેવાની તક આપે છે અને ત્યાં કોઈ અથવા લઘુત્તમ સુરક્ષા નથી જે ખરાબ વર્તનની શક્યતાઓને ઘટાડે છે અને તેમને સન્માન સાથે જીવવામાં મદદ કરે છે. થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લાજપોર જેલની મુલાકાત દરમ્યાન દક્ષિણ ગુજરાતની પ્રથમ ઓપન જેલ બનાવવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : PAPERLEAK : પેપરલીક મામલે સાબરકાંઠામાં તપાસ તેજ, હિંમતનગર અને પ્રાંતિજમાં પોલીસ કરી રહી છે સઘન તપાસ
આ પણ વાંચો : Coldwave : ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, ચારથી પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી