Surat : 4 દર્દી સંક્રમિત થયાનું જાણ્યા બાદ જાગ્યુ સિવિલ હોસ્પિટલનું તંત્ર, સંક્રમિત દર્દીઓના એક્સ રે કાઢવાનું સ્થળ બદલ્યુ
જૂન મહિનાના શરૂઆતથી સુરત શહેરમાં કોરોનાના કેસ (Corona case) વધી રહ્યા છે. રોજના 4-5 દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા હોય એની સરખામણીએ તાજેતરમાં 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવવા લાગ્યા છે.
દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રેડિયોલોજી વિભાગમાં અત્યારસુધી એક જ જગ્યાએ કોરોના સંક્રમિત દર્દીઓ અને સામાન્ય દર્દીઓના એક્સ-રે કાઢવામાં આવ્યા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસ (Corona case) વધવા લાગ્યા છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) જ કોરોના દર્દીઓ માટે 5 એક્સ-રે ટેકનિશિયન અને બે લેબોરેટરી ટેકનિશિયન તહેનાત કરવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી કરેલી બેદરકારીના ગંભીર પરિણામો પણ આવી શકે છે. કોરોના દર્દીઓ અને સામાન્ય દર્દીઓને એક જગ્યાએ એક્સ-રે કરવાથી અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોને કોરોના સંક્રમિત થવાનું જોખમ રહેલું છે.
સુરતમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોવિડ હોસ્પિટલમાં જ કોરોના દર્દીઓના એક્સ-રે લેવામાં આવ્યા હતા. જો કે દર્દીઓની સંખ્યા ઘટ્યા પછી, કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવતા એક્સ-રે બંધ કરી દેવામાં આવ્યા હતા. જે પછી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ જગ્યાએ કોરોના દર્દીઓ અને સામાન્ય દર્દીઓના એક્સ-રે કાઢવાનું શરુ કરવામાં આવ્યુ હતુ. જેમાં સિવિલ મેનેજમેન્ટની બેદરકારી જોવા મળી હતી. કારણ કે 1 થી 25 જૂન સુધી કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી ેક જ જગ્યાએ સંક્રમિત અને સંક્રમિત ન હોય તેવા દર્દીઓના એક્સ રે કાઢવામાં આવ્યા છે. જેને લઇને સંક્રમણ કયાં કેટલુ ફેલાયુ છે તેની જાણ નથી.
જો કે, હવે સિવિલ એડમિનિસ્ટ્રેશન જાગી ગયું છે અને કોવિડ હોસ્પિટલમાં જ કોરોના દર્દીઓના એક્સ-રે અને RTPCR ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 250 ને વટાવી ગઈ છે. જેમાંથી સિવિલના કોરોના વોર્ડમાં 7 દર્દીઓ દાખલ છે. તો બીજી તરફ હવેથી કોરોના દર્દીઓને રેડિયોલોજી વિભાગમાં એક્સ રે કઢાવાની કામગીરીમાં બદલાવ થયો છે. સંક્રમિત દર્દીઓ કોવિડ બિલ્ડિંગમાં જ એક્સ-રે અને આરટી-પીસીઆર કરાવી શકશે. આ માટે 5 એક્સ-રે ટેકનિશિયન અને 2 લેબોરેટરી ટેકનિશિયનને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે.
સિવિલમાં ઇમરજન્સી સારવાર માટે આવનાર 4 દર્દી પણ પોઝિટિવ
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ નવી સિવિલ હોલ્બિટલના ટ્રોમા સેન્ટરમાં પણ ઇમરજન્સી દર્દીઓ કોરોનાં પોઝિટિવ આવવા લાગ્યા છે. સુરત સિવિલમાં 27-28 દર્દીઓની કોરોના રેપિડ એન્ટિજેન માટે તપાસ કરવામાં આવતા જેમાના 4 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતુ. સિવિલ તંત્ર દ્વારા મેડિસિન, ટીબી અને ચેસ્ટ વિભાગમાં કોરોના સ્ક્રિનિંગ માટે સ્ટાફની પણ નિમણૂક કરી છે.
માસ્ક પહેરવું અતિ આવશ્યક : આરોગ્ય વિભાગ
જૂન મહિનાના શરૂઆતથી શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રોજના 4-5 દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા હોય એની સરખામણીએ તાજેતરમાં 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવવા લાગ્યા છે. જેના કારણે કોરોનાના સક્રિય કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. મનપાના હેલ્થ ઓફિસર ડો. આશિષ નાયકે જણાવ્યું કે, માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય છે. તાજેતરમાં કેસો વધી રહ્યા છે, તેથી ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવું આવશ્યક છે. તેમણે કહ્યું કે કોરોનાનુ ટેસ્ટિંગ હાલ તો શરૂ થયું નથી. પરંતુ દરેક ઝોનમાં આવતા કોરોના પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરેક ઝોનમાં ત્રણ ટીમો બનાવવામાં આવી છે, જે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા લોકોનોને કોરોના ટેસ્ટ કરે છે. જો કોઇ પોઝિટિવ આવે તો તેને આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી રહી છે.