Surat: સારવાર કે સજા? સિવિલ હોસ્પિટલ ડાયેરિયા અને તાવના દર્દીઓથી ઉભરાઈ, એક બેડ પર બે દર્દીઓ સારવાર લેવા મજબુર
હાલમાં ડાયેરિયા અને તાવના દર્દીઓ સૌથી વધારે આવી રહ્યા છે. જેથી મોટાભાગના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે વોર્ડમાં જેટલા બેડ છે તે બધા ભરાઈ ગયા છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ(New Civil Hospital) હોસ્પિટલમાં વ્યવસ્થાના અભાવે દર્દીઓની(Patients) હાલત કફોડી બની ગઈ છે. કોરોના બાદ સતત વધી રહેલા રોગચાળાને પગલે હાલત એવી ઊભી થઈ છે કે તે સિવિલના વોર્ડમાં તો બેડ પણ ખૂટી ગયા છે.
કોઈ દર્દી કચરાના ડબ્બા પાસે તો કેટલાક જમીન પર સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. આ સિવાય એક જ બેડ પર બે દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે. આવી અવ્યવસ્થાને કારણે દર્દીઓને થયેલી સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે તેમને સારવાર આપવામાં આવી રહી છે કે સજા?
સુરત સિવિલ હોસ્પિટલમાં પુરુષોના મેડિસિન વોર્ડમાં દર્દીઓની સંખ્યા બેડની ક્ષમતા કરતાં બમણી થઈ ગઈ છે. હાલમાં આ વોર્ડમાં 40 જેટલા બેડ છે. પરંતુ તમામ બેડ દર્દીઓથી ઉભરાય જવાથી મજબૂરી દર્દીઓને જમીન પર બેડ પાથરીને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.
કચરાના ડબ્બા પાસે દર્દીની સારવાર
વોર્ડમાં એક દર્દીની સ્થિતિ જોઈને કોઈને પણ દયા આવી જશે. આ દર્દીને જોઈને એવું લાગે છે કે ખરેખર તેને સારવાર આપવામાં આવી રહી છે કે પછી કોઈ પ્રકારની સજા કરવામાં આવી છે. કચરા પેટી પાસે તેને પથારી પાથરીને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના મેડીસીન વોર્ડમાં દર્દીઓની સંખ્યા ક્ષમતા કરતાં વધુ થઈ જવાને કારણે પરિસ્થિતિ એવી પણ ઊભી થઈ છે કે એક બેડ પર બે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
દર્દીઓની સ્થિતિ એટલી દયનીય થઈ ગઈ છે કે એક બેડ પર તેમને બરાબર બેસતા કે સુતા પણ ફાવતુ નથી. એટલું જ નહીં તેમને ઓશીકું પણ આપવામાં આવ્યું નથી. વોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં ડાયેરિયા અને તાવના દર્દીઓ સૌથી વધારે આવી રહ્યા છે. જેથી મોટાભાગના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
જોકે વોર્ડમાં જેટલા બેડ છે તે બધા ભરાઈ ગયા છે અને હાલમાં એકસ્ટ્રા બેડ ન હોવાથી જમીન પર ફ્લોર બેડ તેમજ એક બેડ પર બે દર્દીને રાખીને સારવાર આપવામાં આવી રહી છે. બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્દીઓનો ધસારો વધી ગયો છે તેમજ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા પણ નથી છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી નથી રહ્યું. દર્દી પોતાની બિમારી કરતાં આવી અવ્યવસ્થાને કારણે વધારે હેરાન થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદોનો ઓનલાઇન નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો
આ પણ વાંચો : Surat : બે દિવસમાં 800 ટન કરતા વધુ ડામર વાપરીને રસ્તા રીપેર કરાયા પણ ફરી વરસાદ પડતા પરિસ્થિતિ જૈસે થે વૈસે