Surat : વધુ એક મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, સ્થાનિકો દ્વારા તેને બચાવી લેવાઈ
ગઈકાલે સુરતના વેસુ વિસ્તારમાં દસમા માળેથી આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહેલી એક મહિલાને સુરતના ફાયર જવાનોએ સુઝબુઝ દાખવીને ઉગારી લીધી હતી, ત્યારે આજે પણ તાપી નદીમાં છલાંગ લગાવનાર મહિલાને બચાવી લેવામાં આવી હતી.
સુરત શહેરમાં આપઘાત (Suicide) કરવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે કેટલાક કિસ્સામાં આપઘાત કરવા જઈ રહેલા વ્યક્તિને બચાવી પણ લેવામાં આવે છે. ગઈકાલે સુરતના વેસુ વિસ્તારમાં દસમા માળેથી આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહેલી એક મહિલાને સુરતના ફાયર (Fire Department) જવાનોએ સુઝબુઝ દાખવીને ઉગારી લીધી હતી, ત્યારે આજે પણ તાપી નદીમાં છલાંગ લગાવનાર મહિલાને બચાવી લેવામાં આવી હતી.
આજે સવારે 6:44 વાગ્યે સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો, જેમાં એક મહિલાએ ચોક બજાર સ્વામી વિવેકાનન્દ બ્રિજ પરથી તાપી નદીમાં ઝપલાવ્યું હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિકો દ્વારા મહિલાને બચાવી લેવામાં આવી હતી.
લીંબાયત વિસ્તારમાં રહેતી 31 વર્ષીય નરગીશ રહીમ શાહ નામની આ મહિલાએ ચોક બજારના સ્વામી વિવેકાનંદ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. જોકે તેની તાપીની વચ્ચોવચ્ચ ન પડતા કિનારા પર જ પડી હતી અને કાદવમાં ફસાઈ ગઈ હતી. જોકે તાપી કાંઠે રહેતા સ્થાનિકોના ધ્યાને આ વાત આવતા તેઓ મહિલાને બચાવવા માટે દોડી ગયા હતા અને મહિલાને કાદવમાંથી ભાર કાઢી હતી. સલામતી માટે ફાયર વિભાગને પણ જાણ કરવામા આવી હતી.
ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિકોએ કાદવથી લથપથ મહિલાને સારી રીતે પાણીથી સાફ કરી હતી. બાદમાં ફાયર વિભાગે ત્યાં પહોંચીને સ્થાનિકોની મદદથી આ મહિલાનો કબ્જો અઠવા પોલીસને સોંપ્યો હતો. મહિલાએ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તેની માહિતી હજી સુધી સામે આવી નથી.
પરંતુ સ્થાનિક અને ફાયર વિભાગની મદદથી આ મહિલાને હાલ સહી સલામત રીતે પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા આ મહિલાના નામ સરનામાં જાણીને પરિવારજનોનો સંપર્ક કરાઈ રહ્યો છે અને મહિલાએ આ પ્રયાસ શા માટે કર્યો છે, તે જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે.