Surat: કોરોનાના કપરાકાળમાં દર્દીઓને લૂંટનારી હોસ્પિટલો સામે તવાઈ નક્કી, આવતા અઠવાડિયે મળશે બેઠક
કોરોનાના મુશ્કેલ સમયમાં પણ દર્દીઓ પાસે બેફામ લૂંટ ચલાવનારી હોસ્પિટલો સામે તપાસ કરવા મહાનગરપાલિકા દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જેની અગત્યની એક મિટિંગ આવતા અઠવાડિયે મળવા જઈ રહી છે.
ખાનગી હોસ્પિટલ (Private Hospital)માં દાખલ કોરોનાના દર્દીઓ પાસે સરકારે નક્કી કરેલ ચાર્જ કરતાં વધુ ચાર્જ વસૂલીને આડેધડ બેફામ લૂંટ ચલાવનાર હોસ્પિટલની બાબતે જો કોઈ દર્દી કે તેના પરિવારજનોને વાંધો હોય તો તે અંગેની અરજીની સમીક્ષા હેતુ મહાનગર પાલિકા દ્વારા છ સભ્યોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
સ્થાયી સમિતિના બે સભ્યો વ્રજેશ ઉનડકટ અને મહાનગર પાલિકાના બે પ્રતિનિધિ તરીકે આરોગ્ય અધિકારી ડોક્ટર ઉમરીગર અને સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર વિપુલ શ્રીવાસ્તવ અને ખાનગી એક્સપર્ટ તરીકે ડોક્ટર પ્રશાંત દેસાઈ અને ડો. મહેન્દ્ર ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
ઔપચારિક રીતે આ કમિટીના ત્રણ સભ્યોની બેઠક મળી હતી. કમિટીના તમામ છ સભ્યોની પ્રથમ બેઠક આગામી એક અઠવાડિયામાં યોજાઈ શકે છે. ચૂંટાયેલી પાંખના બે સભ્યો સમક્ષ અત્યાર સુધી આવી ઘણી અરજીઓ આવી છે. કમિટીની કામગીરી પ્રમાણમાં ખૂબ જ કઠિન બની રહે તેવી શક્યતા છે. કારણ કે કેવા પ્રકારની અરજી સ્વીકારવી અને સમીક્ષા કરવી તે નક્કી કરવું ખૂબ જ મહત્ત્વનું બની રહેશે.
મોટાભાગના કિસ્સામાં સરકાર દ્વારા નિર્ધારિત કોરોના દર્દીઓની સારવાર માટેના ચાર્જ કરતાં વધુ ચાર્જ વસુલ થયા છે. જેમાં ખાનગી હોસ્પિટલો દ્વારા બેફામ લૂંટ ચલાવવામાં આવી હતી. કારણ કે ખૂબ જ ટૂંકા ગાળામાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની જતા તંત્ર દ્વારા પણ હોસ્પિટલો દ્વારા વસૂલાતા ચાર્જ બાબતે કોઈપણ બ્રેક મારવામાં આવી ન હતી.
કોરોના સમયે દર્દીઓ અને તેમના સંબંધીઓની મજબુરીનો લાભ લઈને તેમની પાસેથી બેફામ લૂંટ ચલાવનાર અનેક ખાનગી હોસ્પિટલોની ફરિયાદ કમિટી સામે આવી રહી છે. એક ફરિયાદમાં એવું સામે આવ્યું છે સિટીલાઈટની એક ખાનગી હોસ્પિટલમાં દર્દીના સારવારનો ખર્ચ 4.50 લાખનો ખર્ચ થયો હતો. જેમાં દર્દીનું મોત થયું હતું. પણ સંબંધીઓએ 2.50 લાખ રૂપિયા ન ભરતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
અન્ય એક ફરિયાદમાં અડાજણમાં રહેતા વૃદ્ધ રાંદેરની હોસ્પિટલમાં દાખલ હતા. 10 દિવસની આ સારવારમાં જયારે હોસ્પિટલ દ્વારા દર્દીને બિલ બતાવવામાં આવ્યું ત્યારે ડોક્ટર દ્વારા પહેરવામાં આવેલી એક પીપીઈ કીટનો ખર્ચ 8 હજાર બતાવવામાં આવ્યો હતો. જ્યારે વરાછાની એક ખાનગી હોસ્પિટલે દર્દી પાસે બિલની કોઈ પણ જાતની ફાઈલ આપ્યા વિના જ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. આવી અનેક ફરિયાદો પાલિકા દ્વારા બનાવવામાં આવેલી કમિટીને મળી છે. ત્યારે એક વસ્તુ નક્કી છે કે કોરોના જેવા સમયમાં પણ દર્દીઓને લૂંટનારી હોસ્પિટલો સામે હવે તવાઈ નક્કી છે.
આ પણ વાંચો : Surat : જિલ્લા કલેકટર કચેરીમાં 54 ટકા જગ્યા ખાલી, RTI મા થયો ખુલાસો