Surat : કાપોદ્રામાં સગીરનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા
આ કેસમાં ન્યાયાધીશે (judge ) પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે આરોપી દ્વારા ભોગ બનનાર પર એક કરતાં વધુ વખત જાતીય હુમલા અને બળાત્કાર કરવામાં આવ્યો છે.
શહેરના (Surat )એક વિસ્તારમાં સગીર કન્યાનું લગ્નની લાલચે અપહરણ કરી બળાત્કાર(Rape ) ગુજારનાર ઇસમને કોર્ટે પુરાવા આધારે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખ્ત કેદ અને 20 હજારના દંડનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી હતી કે સુરતના એક વિસ્તારમાં રહેતી સગીર દીકરી ગઇ તારીખ 31 જુલાઇ 2019 રોજ રાત્રિના સમયે ગુમ થઇ ગઈ હતી. જેના કારણે પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ક્યાંય પણ પત્તો નહીં લગતા કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારે અજાણ્યા દ્વારા સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
જે ફરિયાદ આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી. અને સગીરાનું અપહરણ કરનાર આરોપી કાપોદ્રામાં આનંદ એપાર્ટમેન્ટ, સત્યનારાયણ સોસાયટી, રવિ પાર્કની બાજુમાં રહેતા તેમજ મૂળ અમરેલીના 31 વર્ષીય રતકલાકાર શિવા નારણભાઇ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી શિવા મકવાણાએ સગીરાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી પોલીસ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસ આરોપી શિવા સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં ઇન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ વિશાલ એલ. ફળદુએ ધારદાર દલીલ કરી હતી. આ કેસ સુરતના વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ)ની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ દિલીપ મહિડાએ મૌખિક અને દસ્તાવેજી પુરાવા આધારે આરોપી શિવ મકવાણાને કસૂરવાર ઠેરવ્યો હતો. અને આરોપીને 20 વર્ષની સખત કેદ અને 20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ પીડિતાના પરિવારને ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.
સગીર બાળા સાથે ઘટતી ઘટના સમગ્ર જીવનને અસરકર્તા રહે છે : કોર્ટ
આ કેસમાં ન્યાયાધીશે પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે આરોપી દ્વારા ભોગ બનનાર પર એક કરતાં વધુ વખત જાતીય હુમલા અને બળાત્કાર કરવામાં આવ્યો છે. તેના કારણે ભોગ બનનાર અને તેના પરિવારજનોને ઘણો માનસિક આઘાત લાગ્યો છે. વધુમાં કોઇ પણ સગીર વયની બાળા કે જે પોતાના સારા-નરસાનું ભાન ધરાવતી નથી તેની સાથે આવી અઘટિત ઘટના ઘટે ત્યારે ફક્ત તેટલા સમય માટે જ નહીં પરંતુ તે ઘટના તેના સમગ્ર જીવનને અસરકર્તા છે, સમાજમાં નીચા જોવાપણાનો ડર સતાવતો રહે છે. જેથી હુકમ કરવો યોગ્ય, ન્યાયી અને ઉચિત હોવાનું આ અદાલતનું માનવું છે.