Surat: વેક્સિનેશન માટે અનોખો પ્રયોગ, હવે દરેક ઝોનમાં શરૂ કરાશે મોબાઈલ વેક્સિનેશન સેન્ટર
સુરત શહેરમાં 100 ટકા વેક્સિનેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ ઝોનમાં બસો ફાળવીને મોબાઈલ વેક્સિનેશન સેન્ટર દ્વારા લોકોને કોરોના વેક્સિન આપવા માટે કમિશનરે ખાસ સુચના આપી છે.
ગણેશ ઉત્સવની સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ ગઈ છે અને લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થતાં જોવા મળી રહ્યા છે. ત્યારે જીવલેણ કોરોના ફરી લોકોને પોતાના અજગરી ભરડામાં જકડી ન લે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરે તાત્કાલિક તકેદારીના પગલાં લેવા અધિકારીઓને આદેશ આપ્યો છે.
સુરત શહેરમાં 100 ટકા વેક્સિનેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ ઝોનમાં બસો ફાળવીને મોબાઈલ વેક્સિનેશન સેન્ટર દ્વારા લોકોને વેક્સિન આપવા માટે કમિશનરે ખાસ સુચના આપી છે, વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય, પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં આળસ કરી રહેલા લોકોને શોધી શોધીને બસમાં તૈયાર કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર દ્વારા વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં પણ કમિશનરે આરોગ્ય અધિકારીઓ તેમજ ઝોનના અધિકારીઓને ખાસ સુચના આપી છે.
આ ઉપરાંત જે વિસ્તારમાં વેક્સિન નહીં લેનારા લોકોની સંખ્યા વધારે હોય તે વિસ્તારમાં મોબાઈલ વેક્સિન બસ ફેરવીને વેક્સિનેશન ડ્રાઈવ સફળ બનાવવા ઉપર ભાર આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ સૂચના આપી છે. આ ઉપરાંત શહેરમાં કેટલાક સ્થળોએ ગણેશ મંડપની બાજુમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે તો આ સેન્ટરોમાં કોવિડ 19ની ગાઈડલાઈનનો અમય યોગ્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની પણ ખાસ સુચના આપી છે.
સ્કૂલના મુખ્ય દરવાજા પર ફુલ્લી વેક્સિનેટેડ સ્ટાફનું બોર્ડ લગાવવા આદેશ
પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો શરૂ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ કોરોના વાઈરસથી સંક્રમિત બને નહીં તે માટે સરકારે ખાસ કાળજી રાખવાનો આદેશ આપ્યો છે. તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની 100 ટકા વ્યક્તિને વેક્સિનેટેડ કરવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જે સ્કૂલોમાં તમામ સ્ટાફને વેક્સિન આપી દેવામાં આવી હોય તે સ્કૂલના મુખ્ય દરવાજા ઉપર ફુલ્લી વેક્સિનેટેડ સ્ટાફનું બોર્ડ લગાવવા સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે.
ઔદ્યોગિક વિસ્તારોમાં વેક્સિન સેન્ટર શરૂ કરવા સૂચના
સુરત શહેર વિસ્તાર તેમજ ઔદ્યોગિકવિસ્તારમાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને વેક્સિન અપાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે .આ વિસ્તારોમાં વેક્સિનેશન માટે જુદા જુદા સેન્ટરો શરૂ કરવા સંસ્થાઓ તેમજ ઉદ્યોગોના સંચાલકોને તૈયાર કરવા માટે પણ કમિશનરે અધિકારીઓને ખાસ સુચના આપી છે.
આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ
આ પણ વાંચો : Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ