Surat: ભેસ્તાનમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિને ગંભીર ઈજા
ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થવાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો સ્ટાફ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
સુરત (Surat)ના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સરસ્વતી આવાસમાં આજે સવારે અચાનક જ સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. આ સમયે ઘરમાં હાજર બે વ્યક્તિને માથાના અને શરીરીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થવાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો સ્ટાફ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. નોંધનીય છે કે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસોમાં સ્લેબ પડવાની આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે આવાસ બનાવતા કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આવાસો તો તૈયાર કરી દેવામાં આવે છે. પરંતુ આ આવાસોની બનાવટમાં કૌભાંડો પણ થયા હોય તેવા આક્ષેપો પણ અસંખ્યવાર થયા છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ સરસ્વતી આવાસમાં આજે વહેલી સવારે એક પરિવાર ઘરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેના કારણે ઘરમાં બેસેલા બે વ્યક્તિના માથે સ્લેબ પડતા બંનેને ગંભીર ઈજા પણ પહોંચી હતી.
આખો સ્લેબ તૂટી પડવાના કારણે મોટો ધડાકો થયો હતો. જેના કારણે અન્ય રહીશોમાં પણ ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને તાકીદે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણને પગલે ઝોનના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં આવાસોમાં કૌભાંડ આચરવામાં આવે છે. જેના કારણે આવાસ ઝડપથી જર્જરિત થઈ જાય છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઉપરાછાપરી આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. જોકે આવા કેસમાં મનપાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરો સામે કોઈ સઘન કાર્યવાહી કરવામાં આવતી નથી. ભેસ્તાન આવાસમાં આવેલ અન્ય બિલ્ડીંગો પણ આવી જ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે. જે પણ સ્થાનિકોના જીવ સામે જોખમ ઉભું કરી શકે તેવી છે.
આ પણ વાંચો : Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
આ પણ વાંચો: Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?