Surat: મોદી સમાજને અપમાનિત કરવાનો મામલો, રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું મને કંઈ યાદ નથી
Surat : કોર્ટની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સભા દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી તે તેમને હાલ યાદ નથી.
Surat : લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકની સભામાં તત્કાલીન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) વિરુદ્ધ ટીપ્પણી કરવાની સાથે સમગ્ર મોદી સમાજનો ઉલ્લેખ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેર સભામાં મોદી ચોર હોવાના મુદ્દે માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી દરમિયાન આજે એટલે કે ગુરુવારે રાહુલ ગાંધી સુરત કોર્ટ(Surat District Court ) સામે ઉપસ્થિત રહ્યા હતા.
કોર્ટની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સભા દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી તે તેમને હાલ યાદ નથી. રાષ્ટ્રીય નેતા હોવાથી તેઓ પીએમ મોદી વિશે પોતાના ભાષણોમાં ઘણું બોલતા હોય છે. પણ આ બાબતે તેમને કંઈ યાદ નથી. આ દરમિયાન કોર્ટ દ્વારા માનહાનિ કેસની વધુ સુનાવણી 12 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
કોર્ટ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ એ મોદી સમાજને ચોર કહ્યા છે ? તો આ સંદર્ભે રાહુલ ગાંધીએ પોતાનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓને કંઈ ખબર નથી. અંદાજે એક કલાક સુધી ચાલેલી કોર્ટની કાર્યવાહી બાદ રાહુલ ગાંધી એરપોર્ટ ખાતે રવાના થયા હતા.
કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજ ને લઈને ટીપ્પણી કરાઈ હતી. તેની સામે મોઢ વણિક સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટીપ્પણી કરી હતી. જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતના નામ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા. જેને લઈને સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો.
પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતા સમાજની લાગણી દુભાઇ છે. આ કેસમાં તેઓ અંતિમ શ્વાસ સુધી લડશે તેમજ તેમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે તેવું તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોકનેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માણસને કેસો કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા છે. પરંતુ કોંગ્રેસ સમિતિની સત્ય ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ તેમના સમર્થન કરી રહ્યા છે.
બચાવ પક્ષના એડવોકેટ કિરીટ પાનવાળાએ જણાવ્યું હતું કે, મોદી નામનો કોઈ સમાજ નથી. જેથી બદનક્ષી થઈ શકે નહીં. રાહુલ ગાંધીના ભાષણો અને સીડીઓ રજૂ કરવામાં આવી છે તે યોગ્ય પુરવાર થઈ શકે તેમ નથી. જાહેર સભામાં ભાષણ આપ્યું છે પરંતુ સમાજને દુઃખ થાય તેવું કંઈ બોલ્યા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે જરૂર બોલ્યા છે. પણ બેકારી અને મોંઘવારીના મુદ્દે બોલ્યા છો. વિરોધ પક્ષમાં હોય એટલે રાહુલ ગાંધીને ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર છે અને ફરજ પણ છે. હવે આ કેસની વધુ સુનાવણી 12મી જુલાઈના રોજ હાથ ધરાશે. જો કે રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ લેવાનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે એટલે તેઓ હવે પછીની મુદતમાં હાજર રહેશે નહીં તેવું કોર્ટના સુત્રોનું કહેવું છે.