Surat : શહેર અને જિલ્લા પર ફરી મેઘરાજા મહેરબાન, ઉકાઇમાંથી ફરીવાર 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું
સુરતમાં (Surat )પણ તાપી નદી બંને કાંઠે વહેતા કોઝવેની સપાટી 9 મીટર સુધી પહોંચતા હાલ વાહન વ્યવ્યહાર માટે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે.
ઉકાઇ (Ukai )ડેમના કેચમેન્ટમાં મેઘરાજાએ (Monsoon )સતત વરસવાનું ચાલુ રાખ્યું છે જેની અસર ઉકાઈ ડેમની સપાટી પર પડી રહી છે. ઉકાઇના ઉપરવાસમાં તાપી(tapi ) નદી સંલગ્ન મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડતા તાપી નદી પર આવેલા હથનુર ડેમ માંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેચમેન્ટ એરિયામાં પણ સારા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે.
બુધવારે સવારથી જ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જમતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં બારડોલી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદે રંગ જમાવટ ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છ. શેરડીના પાક માટે આ વરસાદ ફાયદાકારક હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં પણ તાપી નદી બંને કાંઠે વહેતા કોઝવેની સપાટી 9 મીટર સુધી પહોંચતા હાલ વાહન વ્યવ્યહાર માટે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા :
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો બારડોલીમાં 2.25 ઇંચ, કામરેજમાં 2.25 ઇંચ, પલસાણામાં 2.50 ઇંચ, માંગરોળમાં 1.25 ઇંચ, મહુવામાં 1.20 ઇંચ, ઉમરપાડામાં 3.50 ઇંચ, ચોર્યાસીમાં 0.75 ઇંચ, અને સુરત સિટીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે.
ઉકાઇમાંથી ફરી પાણી છોડવાનું શરૂ :
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઉકાઇ ડેમમાંથી હાલ તાપી નદીમાં 1.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ફરી એકવાર તાપી નદી બંને કાંઠે જોવા મળશે. ડેમમાં પાણીની આવક 1,30,627 ક્યુસેક નોંધાઈ છે.
બારડોલીનો હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરક :
સીઝનમાં છઠ્ઠી વખત બડોલી ખાતે આવેલો હરિપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરક થયો છે. જેના કારણે સામે પર આવેલા 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થઇ ગયા છે. આ કારણથી સ્થાનિક અને ઇમરજન્સી સેવા માટે લોકોને 30 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડશે. ગુજરાત સરકારના માર્ગ મકાન મંત્રીએ તાજેતરમાં જ હરિપુરા કોઝવે પર હાઈ બેરલ બ્રિજ માટે 70 કરોડ મંજુર કર્યા છે.