સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હવે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠકો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં 80 ટકા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠક ફાળવવામાં આવી છે.
સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. સુરતમાં ભારતના મોટાભાગના રાજ્યોમાંથી લોકો આવીને વસ્યા છે. ત્યારે શહેરમાં CBSE બોર્ડની શાળાઓના વધતી જતી સંખ્યાને આધારે બોર્ડના વિધાર્થીઓને પ્રવેશ મેળવવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ છેલ્લા ઘણા વર્ષથી સાંભળવા મળી રહી હતી. જેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અન્ય બોર્ડના 20 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સર્વોચ્ચ અધિકાર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
જેથી હવે તમામ કોલેજોમાં 80 ટકા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠક ફાળવવામાં આવી છે. સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 20 વર્ષમાં CBSE બોર્ડની શાળાઓની સંખ્યા વધી રહી છે. હાલમાં 40 કરતાં વધારે CBSE , ICSEઇન્ટરનેશનલ બોર્ડ કાર્યરત છે.
જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારે હાલાકી વેઠવી પડતી હતી. ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયામાં અધર બોર્ડના વિદ્યાર્થીઓને ગણતરીની 10 બેઠકો પર પ્રવેશ આપવામાં આવતો હતો. તેમ છતાં મોટાભાગે વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજોમાં પ્રવેશ મળતો ન હતો. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો પડતો હતો અથવા તો પછી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડતો હતો.
વિદ્યાર્થીઓને આ સમસ્યાને પગલે હવે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠકમાં અન્ય બોર્ડનો ક્વોટા 20 ટકા કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિર્ણયને કારણે આગામી વર્ષ 2021 ની પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં ઉમેદવારી કરનારા વિધાર્થીઓના મેરીટમાં 80% ગુજરાત બોર્ડ અને 20 ટકા અધર બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો: Surat: બેંકોનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર વિશ્વાસ વધ્યો, લોનના ધિરાણમાં થયો વધારો
આ પણ વાંચો: સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન