Surat: માલધારી સમાજના વિરોધ દરમ્યાન ડેરીમાં તોડફોડ મચાવનાર છ શખ્સોની પોલીસે સીસીટીવીના આધારે કરી ધરપકડ
સુરતના અડાજણ વિસ્તારમાં સુરભી નામની ડેરીમાં દૂધનું વેચાણ થઈ રહ્યું હતું, ત્યારે ડેરીમાં ટોળું ઘસી આવ્યું હતું અને ડેરી માલિકને દૂધનું વેચાણ બંધ કરવા કહ્યું હતું અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળામાંથી અમુક લોકોએ પાઇપ વડે ડેરીની બહાર રહેલા કાચ જ તેમજ ફ્રિજના કાચ તોડી 80,000થી વધુનું નુકસાન કર્યું હતું.
સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં ગઈ કાલે દૂધના વેચાણને લઈ અમુક લોકો દ્વારા સુરભી ડેરી (Dairy)માં તોડફોડ કરી હતી. ઘટનાને પગલે દુકાન માલિકે પોલીસને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે 6 લોકોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે કરવામાં આવી હતી તોડફોડ
સુરત શહેરમાં અવાર નવાર કોઈને કોઈ મુદ્દે તોડફોડ થતી હોવાની ઘટના સામે આવે છે. તેવામાં ગઈકાલે માલધારી સમાજ દ્વારા દૂધ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના તમામ માલધારી સમાજ દ્વારા એક દિવસ દૂધ નહીં આપી સરકારે બનાવેલો કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી. જેથી સમગ્ર સુરત શહેરમાં માલધારી સમાજ દ્વારા દૂધ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેવામાં સુરતના અડાજણ વિસ્તારમાં સુરભી નામની ડેરીમાં દૂધનું વેચાણ થઈ રહ્યું હતું, ત્યારે ડેરીમાં ટોળું ઘસી આવ્યું હતું અને ડેરી માલિકને દૂધનું વેચાણ બંધ કરવા કહ્યું હતું અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળામાંથી અમુક લોકોએ પાઈપ વડે ડેરીની બહાર રહેલા કાચ જ તેમજ ફ્રિજના કાચ તોડી 80,000થી વધુનું નુકસાન કર્યું હતું.
સીસીટીવીના આધારે કરાઈ ધરપકડ
ઘટના અંગે ડેરી માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે તાત્કાલિક આ ઘટનામાં ડેરીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને તેમાં છ જેટલા ઈસમો નજરે પડ્યા હતા. જેથી અડાજણ પોલીસે છ ઈસમો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે જે રીતે એક દિવસ દૂધ બંધ રાખવાને કારણે સુરત શહેરમાં અનેક જગ્યાએ તોડફોડની ઘટનાઓ બની છે. જેના કારણે પોલીસે પણ સતર્કતા દાખવી પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો. અડાજણ વિસ્તારમાં આ ઘટના બની ત્યારે તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ તોડફોડ કરનારા ઇસમોને શોધવાની તજવીજ હાથ કરી હતી. જેમાં છ ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.