Surat: ગુરુપૂર્ણિમાના દિવસથી સુરતમાં શાળાઓ શરૂ થઈ જશે? સંચાલકો છે મક્કમ
સરકાર મંજૂરી આપે કે ન આપે ગુરુપૂર્ણિમાના દિવસથી સુરતના 400 ખાનગી શાળા સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની સંમતિથી શાળા શરૂ કરવા મક્કમ છે.
કોરોના (Corona Virus)ના કેસો ઘટતા સરકાર દ્વારા ધોરણ 12ના અભ્યાસ ઓફલાઈન કરવાની મંજૂરી આપવામાં આવે છે. ટ્યુશન કલાસીસ (Tution classes)માં પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને ક્લાસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના કેસો ઘટતા આમ લગભગ દરેક ક્ષેત્રને મંજૂરી મળી ગઈ છે. એકમાત્ર શિક્ષણ પર હજી પણ સરકારે બ્રેક લગાવી રાખી છે. આ અંગે કેબિનેટની એક બેઠક મળવા જઈ રહી છે. જેમાં શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.
જોકે તે પૂર્વે સુરતમાં શિક્ષણ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બે દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને જણાવવામાં આવ્યું હતું કે ધાર્મિક સ્થળો, પ્રયત્ન સ્થળો, સ્વિમિંગ પુલ, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે વ્યવસાયોને ગાઈડલાઈન પ્રમાણે ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
ત્યારે લાંબા સમયથી વાલીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને સંચાલકોની માંગણીને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. શાળા સંચાલકોએ પણ જણાવ્યું છે કે ટ્યુશન ક્લાસીસની સરખામણીએ શાળામાં કોવિડ ગાઈડલાઈનનું પાલન તેઓ સારી રીતે કરાવી શકે છે. ધોરણ 9થી 12ના વર્ગોનો અભ્યાસ પણ તેટલો જ જરૂરી છે પણ તેને પણ દોઢ વર્ષથી નુકશાન થયું છે.
ગુજરાત રાજ્યના શાળાસંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેથી આવનાર વિદ્યાર્થીઓ, શાળા અને શિક્ષકો સુરક્ષિત રહે. મોટાભાગના રાજ્યોએ શાળાઓ શરૂ કરવાનો રોડમેપ તૈયાર કરી જાહેર કરી દીધો છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ બાબતે તૈયારી કરવી, જોકે ત્રીજી વેવ આવે તેની રાહ જોઈને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઈએ. શાળા સંચાલકોએ ત્યારે ચીમકી પણ આપી હતી કે જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં તેઓ ઓનલાઈન શિક્ષણકાર્યનો બહિષ્કાર કરશે.
ત્યારે આજે ફરી એક વખત સુરત સ્વનિર્ભર સંચાલક મંડળ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા મળનારી કેબિનેટની મિટિંગમાં જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો શનિવાર એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસથી વાલીઓ અને વિદ્યાર્થીઓની સંમતિ સાથે તેઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ચાલુ કરશે. સુરતની 400 શાળાના સંચાલકોએ શિક્ષણકાર્ય શરૂ કરવા તૈયારી બતાવી છે.
આ પણ વાંચો: Surat: ગુરુપૂર્ણિમા નિમિત્તે સુરતનું ‘તાલ’ ગૃપ નૃત્ય શીખવાડી આપશે ઓનલાઈન ગુરુ દક્ષિણા