SURAT : સુરત સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોએ હડતાળ સમેટી
રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જુનિયર રેસિડન્ટની ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ખાતરી મળતા તબીબોએ હડતાળ પાછી ખેંચી લીધી હતી.
SURAT : શહેરની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ ગુરુવારે મોડી રાત્રે તેમની હડતાળ સમેટી લીધી હતી. અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશને હડતાળ પાછી ખેંચી લીધા બાદ બંને મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ સુરતમાં બેઠક યોજી હતી. ડીને કહ્યું કે સરકારે નોન પી.જી. જુનિયર રેસિડેન્ટની નિમણૂકથી સમસ્યાનો નિકાલ થાય તેમ જણાવાયું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે તેવી ખાતરી આપતાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી હતી.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ઇમરજન્સી, આઇસીયુ અને ડાયાલીસીસ સહિતના તમામ વિભાગોમાં સેવાઓ બંધ કરી દેતા આરોગ્ય વિભાગ ભારે મુશ્કેલીમાં મુકાયું હતું. મંગળવારથી રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ શરૂ કરી હતી. કોર્ટમાં અનામતના મુદ્દે ચાલી રહેલી સુનાવણીને કારણે દેશની મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી ) પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી.
દેશની તમામ મેડિકલ કોલેજોમાં પ્રથમ વર્ષની બેંચ ન આવવાને કારણે બીજા અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું હતું. ગુરુવારે નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ રેલી કાઢી હતી. બીજી તરફ દિલ્હીમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશને ગુરુવારે સાંજે હડતાળ પાછી ખેંચી હતી. રાજ્યોની મેડિકલ કોલેજોએ પણ હડતાળ સમેટવાનો કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં હતાળનો અંત આવ્યા બાદ સુરતની બંને હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લેવા ડીનને જાણ કરી છે. સુરત સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.ઋતંબરા મહેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે હડતાળને સમર્થન આપવા માટે સુરત અને અન્ય મેડિકલ કોલેજોમાં હડતાળ પડી હતી.
હવે જ્યારે દિલ્હીમાં હડતાળ પૂરી થઇ ગઇ છે. ત્યારે તેની અસર અન્ય સ્થળો પર પણ જોવા મળી રહી છે. રેસિડેન્ટ ડોક્ટરોએ ગુરુવારે મોડીરાત્રે હડતાળ પાછી ખેંચવાની જાણ કરી છે. હોસ્પિટલ તંત્રએ ગ્રામીણ વિસ્તારોમાંથી 21 મેડિકલ ઓફિસર અને નોન – ક્લિનિકલ શિક્ષકોને ઇમરજન્સી, આઇસીયુ સહિતના વિવિધ વોર્ડમાં નિમણૂંક કર્યા હતા.
નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જુનિયર રેસિડન્ટની ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ખાતરી મળતા તબીબોએ હડતાળ પાછી ખેંચી લીધી હતી.
આ પણ વાંચો : જામનગરમાં OMICRONના વધુ 2 કેસ નોંધાયા, ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 3 કેસ થયા