Surat: 33 વર્ષથી સુરત સિવિલમાં 50 હજાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર રમણભાઈ રીટાયર થયા
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનાર કર્મચારીની જાણો સફર
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં(New Civil Hospital) પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા 60 વર્ષીય રમણભાઈ રીટાયર થયા છે. તેમણે પોતાના 33 વર્ષની નોકરી દરમિયાન 50 હજાર કરતાં વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું છે. તેમની આ સફરમાં કોરોના સમયમાં કામ કરવું સૌથી પડકારજનક રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે કોરોનાના શરૂઆતના વર્ષોમાં ઘણા પોસ્ટમોર્ટમ(postmortem) કરવામાં આવ્યા હતા જે શંકાસ્પદ હતા. પછી ખબર પડી હતી કે કોરોના પોઝિટિવ ના ઘણા બધા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી નાંખ્યું હતું.
સૌથી સારી વાત એ રહી કે પહેલી અને બીજી લહેર માં તેમને એક પણ વાર કોરોના(corona) નથી થયો. રમણભાઈ મગનભાઈ સોલંકી ભટારની સોમનાથ સોસાયટી માં રહે છે. તેમણે 1988થી સુરતની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યું હતું. પરિવારમાં તેમના પત્ની અને બે સંતાન છે. પત્ની મેડિકલ કોલેજમાં સફાઈ કર્મચારી છે.
તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવું પડતું હતું ત્યારે શરૂઆતમાં તેમને ઘર પર ભોજન કરવાનું પણ પસંદ નહોતું પડતું. ઘણીવાર ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહો આવતા હતા. જેમાં કીડા પણ પડતા, જે ઘણીવાર તેમના ઉપર પણ ચડી જતા હતા.
સિવિલ હોસ્પિટલના મેડિકલ ઇન્ચાર્જે પણ કહ્યું છે કે રમણભાઈ વર્ષોથી પોસ્ટમૉર્ટમ કરતાં આવ્યા છે. જેથી તેમને પીએમની ઝીણવટ ભરી માહિતીની પણ સારી રીતે ખબર છે. ઘણીવાર તેઓ પણ તેમની સલાહ પર અમલ કરે છે તો પરિણામ સારું આવે છે. મૃતદેહને ખોલતા જ રમણભાઈ બતાવી શકે છે કે તેની હત્યા છે કે આત્મહત્યા છે કે કોઈ બીમારી હશે.
સામાન્ય રીતે ડોકટર કે કલાસ વન અધિકારીઓ રીટાયર થતા હોય છે, ત્યારે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવતો હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં આટલા વર્ષોમાં પહેલીવાર પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવનાર કર્મચારીનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.
રમણભાઈનો વિદાય સમારોહ નવી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. સિવિલના ડોક્ટરે જણાવ્યું હતું કે પહેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં 3 સર્વન્ટ બીજા હતા જે પોસ્ટમોર્ટમ કરતા. પરંતુ સર્વિસ પૂર્ણ થયા પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. જ્યારે રમણભાઈ સ્વસ્થ હાલતમાં આટલા વર્ષો બાદ રિટાયરમેન્ટ(retirement) લઇ રહ્યા છે.