Surat : મહુવામાં ભૂંડથી ખેતરના પાકને બચાવવા લગાવેલા વીજ તાર બન્યા જીવલેણ, એક મહિલાનું કરંટ લાગતા મોત
ખેતીના પાકને (Farm crops) બચાવવા માટે ગ્રામજનોએ ખુલ્લા વીજતારથી ફેન્સીંગ (Electrical fencing) કરવાની અસુરક્ષિત રીત અપનાવી હતી. જ્યારે આ જ નુસખાનું વિપરીત પરિણામ આપતા હોવાનો એક કિસ્સો મહુવા તાલુકામાં બનવા પામ્યો છે.
સુરત (Surat) જિલ્લાના મહુવા તાલુકાના વેલણપુર નાયકીવાડ ફળિયા ખાતે ભૂંડથી (Pigs) ખેતરના પાકને ખૂબ મોટાપાયે નુકસાન થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેથી ખેતીના પાકને (Farm crops) બચાવવા માટે ગ્રામજનોએ ખુલ્લા વીજતારથી ફેન્સીંગ (Electrical fencing) કરવાની અસુરક્ષિત રીત અપનાવી હતી. જ્યારે આ જ નુસખાનું વિપરીત પરિણામ આપતા હોવાનો એક કિસ્સો મહુવા તાલુકામાં બનવા પામ્યો છે. આ બનાવ અંગે મહુવા પોલીસે આ વીજ કરંટ મુકનાર ખેડૂતો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભૂંડોનો આતંક ઓછો કરવા ખેડૂતે લગાવ્યો હતો વીજ તાર
છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જંગલી ભૂંડો ખેતીના પાકમાં રીતસરનો આંતક મચાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડતો હોય છે. જેથી ભૂંડોનો આતંક ઓછો કરવા ખેડૂતો નિતનવા નુસખા અજમાવતા હોય છે. ત્યારે મહુવામાં પણ ખેડૂતો પાકને બચાવવા ખેતરના આસપાસ વીજ તાર લગાવે છે. જોકે પોલીસ સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વીજતાર એક મહિલા માટે જીવલેણ સાબીત થયો છે. એક બનાવમાં ઘાસ કાપવા ગયેલા 45 વર્ષીય રેખાબેન નાયકા નામના મહિલા અજાણતામાં જીવંત વીજ તારને અડી ગયા હતા. વીજકરંટ લાગતા આ મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘાસ કાપવા ગયેલી મહિલાનું મોત
મહુવા તાલુકાના વેલણપુર ગામના નાયકીવાડ ફળિયામાં રહેતા ખેડૂતો રમેશભાઈ છોટુભાઈ નાયકા,દાનિયેલ રમેશભાઈ નાયકા તેમજ ધર્મેશ રમેશભાઈ નાયકા દ્વારા ખેતરમાં ભૂંડ ખેતરમાં પાકને નુકસાન ન કરે તે માટે ખેતરની ફરતે પાળા ઉપર લોખંડના તારની ફેન્સીંગ કરી દેવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે તે તારમાં વીજકરંટ પસાર થાય તો સંપર્કમાં આવનાર માનવ કે પશુઓનું મરણ થાય તે જાણ હોવા છતાં આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ત્યારે ઘાસચારો કાપવા ગયેલા રેખાબેન ભરતભાઇ નાયકાને જીવંત તાર અડી જતા વીજકરંટને કારણે તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ બનાવ તાલુકામાં ભૂંડના ત્રાસથી ખેતીના પાકને બચાવવા આ પ્રયોગ કરતા ખેડૂતો માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.
(વીથ ઇનપુટ- જીજ્ઞેશ મહેતા, બારડોલી)