રાહતના સમાચાર: સુરતમાં મ્યુકરમાઇકોસિસને લઈને સ્થિતિ સુધાર પર, જાણો વિગત
રાજ્યમાં મ્યુકરમાઇકોસીસને લઈને સ્થિતિ સુધાર પર છે. આવામાં આંકડા પ્રમાણે સુરતમાં મ્યુકરમાઇકોસીસની સ્થિતિ વધુ સામાન્ય જોવા મળી રહી છે.
દેશભરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. આવી સ્થિતિમાં ગુજરાતે પણ આ બીમારીને લઈને ખરાબ સમય જોયો. રાજ્યમાં ઘણા શહેરોમાં આ રોગના કેસ સામે આવ્યા હતા. સમય જતા હવે પરિસ્થતિમાં સુધાર જોવા મળી રહ્યો છે.
રાજ્યના ચાર મહાનગરો પૈકી સુરતમાં મ્યુકરમાઇકોસિસની સ્થિતિ વધુ સામાન્ય જોવા મળી રહી છે. સૌથી ઓછા 55 જેટલા મોત સુરતમાં નોંધાયા છે. શહેરની બંને હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ ના નવા ચાર કેસ આવ્યા છે. બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ ના દર્દીઓની તબિયતમાં સુધારો આવતા એક સાથે સાત દર્દીઓને રજા આપવામાં આવી હતી.
એક સમય એવો હતો કે નવી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ કેસો આવતા હતા. જેને ધ્યાનમાં લઇને હોસ્પિટલમાંથી મ્યુકરમાઇકોસિસના અલગ વોર્ડ પણ શરૂ કર્યા હતા. પણ હાલના સમયમાં સૌથી ઓછા કેસ આવતા બે વોર્ડ બંધ કરાયા છે. જે શહેરીજનો માટે રાહતના સમાચાર છે. જ્યારે કેસોમાં વધારો થયો હતો, ત્યારે સર્જરીઓ પણ કરવામાં આવી રહી હતી. તબીબો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. હાલ કેસો ઘટતાં લોકોને પણ રાહત થઇ છે.
નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના નવા બે દર્દી દાખલ થયા છે, તો સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. નવી સિવિલમાં છ દર્દીઓને હોસ્પિટલમાં સુધારો આવતાં તેમને રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓની સર્જરી કરાઇ હતી.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ,રાજકોટ, વડોદરા અને સુરતની પરિસ્થિતિમાં સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસની સ્થિતિ સારી હોવાનું તારણ બહાર આવ્યું છે. હાલમાં મ્યુકરમાઇકોસિસના કારણે અમદાવાદમાં 105, રાજકોટમાં 100, વડોદરામાં 90 દર્દીઓ સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી ઓછા 55 જેટલા દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચો: સુરતમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળના મેઇન્ટેનન્સનો ‘ખરો સમય’ ક્યારે આવશે? વર્ષોથી બંધ ઘડિયાળ
આ પણ વાંચો: સુરત મનપાનો મોટો નિર્ણય: ધાર્મિક સ્થાનો પર હવે શરુ થશે વેક્સિનેશન સેન્ટર, જાણો આયોજન