Surat : 28 જુલાઈના રોજ સુરત મનપાની મળનારી સામાન્ય સભામાં વિપક્ષ પહેલીવાર હાજરી આપશે
સુરત મહાનગપાલિકાની સામાન્ય સભા તારીખ 28 જુલાઈના રોજ મનપાની મુખ્ય કચેરી ખાતે આવેલા સરદાર ખંડમાં મળવા જઈ રહી છે. જેમાં વિપક્ષના સભ્યો હાજર રહેશે.
સુરત મહાનગર પાલિકાની (Surat Municipal Corporation) 28 જુલાઈના રોજ સામાન્ય સભા (General Board) મળવા જઈ રહી છે. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્યો પહેલીવાર હાજરી આપશે.
હાલ સુરત શહેરમાં કોરોના સંક્રમણ હવે નહિવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન કોરોનાના ચારથી પાંચ કેસ જ નોંધાઇ રહ્યા છે. જેથી સુરત મહાનગર પાલિકાની 28 મી જુલાઈના રોજ મળનારી સામાન્ય સભા પણ હવે મનપાની મુખ્ય કચેરીના સરદાર ખંડમાં જ મળવા જઈ રહી છે.
ગયા મહિનાની સામાન્ય સભા પણ સરદાર ખંડમાં રાખવામાં આવી હતી. પરંતુ તેમાં વિપક્ષના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં થયેલા હોબાળા અને તોડફોડના કારણે વિપક્ષના તમામ સભ્યો સામે મહાનગર પાલિકા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેઓની સામાન્ય સભા મળે તે પહેલાં પોલીસે અટકાયત કરી હતી. જેથી વિપક્ષના એક પણ સભ્ય સભામાં હાજર રહી શકયા ન હતા.
પરંતુ હવે મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે 28 જુલાઈના દિવસે યોજાવા જઇ રહેલી સામાન્ય સભામાં પહેલીવાર વિપક્ષના સભ્યો સરદાર ખંડની સામાન્ય સભામાં હાજર રહેશે. મહાનગર પાલિકાની ચૂંટણી બાદથી તમામ સામાન્ય સભાઓ કોરોના વાયરસને કારણે મનપા મુખ્ય કચેરી બહાર જ મળી હતી.
આ ઉપરાંત આ પહેલાની સામાન્ય સભાઓ પણ ઓનલાઇન જ યોજાઈ હતી. તેવામાં હવે 28 જુલાઈના રોજ સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે અને તે પણ સુરત મનપાની મુખ્ય કચેરી સરદાર ખંડમાં આ સામાન્ય સભા યોજાવા જઈ રહી છે, જેમાં વિપક્ષના સભ્યો સરદાર ખંડમાં આ પ્રથમ સભામાં હાજરી આપશે.
અત્યાર સુધી વિપક્ષની ગેરહાજરીમાં ઘણા પ્રશ્નો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. પણ આ સામાન્ય સભામાં વિપક્ષ ઘણા મુદ્દાઓ સાથે ભાજપ શાસકોને ઘેરવાના પ્રયત્ન કરશે તેવી સંભાવના છે. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડી પુરના મુદ્દે હોબાળો કરાય તેવી શક્યતા છે. તેની સાથે સાથે સ્થાયી સમિતિમાં પે એન્ડ પાર્કમાં મળતિયાઓને ઈજારા આપી દેવાનો પણ વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.