Surat: જ્યાં સારવાર કરાવવા દર્દીઓ જાય એ સિવિલ હોસ્પિટલ જ છે મચ્છરોનું ઘર?
સુરતમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે. સિવિલ હોસ્પિટલ જ મચ્છરોના બ્રીડીગનું ઉદગમસ્થાન બની ગઈ છે, તંત્ર કોઈ પગલાં લેશે કે કેમ?
Surat: દક્ષિણ ગુજરાતની મોટી સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) સુરતમાં છે. જ્યાં સુરત જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે સુરત આવે છે પણ સારવાર કરાવવા આવતા દર્દીઓ જ અહીં બિમાર પડે એવા કંઈ હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દેખાઈ રહ્યા છે. હાલ ચોમાસાના વાતાવરણમાં વરસાદી ઝાપટાને કારણે સુરતની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે.
જેનો નિકાલ કરવામાં નહીં આવતા આ બંધિયાર પાણી મચ્છરોનું ઉદગમસ્થાન બની ગયું છે. સિવિલ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ કન્સ્ટ્રક્શન (construction) પણ ચાલી રહ્યું છે, ત્યાં પણ સરખી પરિસ્થિતિ જ જોવા મળી રહી છે. જ્યાં યોગ સાફસફાઈ ન થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ આ મામલે કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું.
સિવિલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની બાજુમાં જ ઘણા સમયથી ફુવારો બંધ હાલતમાં છે, ત્યાં પણ ગંદકી અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. મચ્છરોના(mosquito) બ્રિડીંગ અને વરસાદી પાણીના ખાબોચિયા વચ્ચે યોગ્ય સફાઈને લઈને તંત્રમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. જેના કારણે અહીં આવતા તબીબી સ્ટાફ અને દર્દીઓને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે.
એક તરફ સુરત મહાનગરપાલિકાના વીબીડીસી વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કન્સ્ટ્રક્શન સાઈટ, શાળાઓ, કચેરીઓ, હોસ્પિટલો, રેસ્ટોરન્ટ વગેરેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યાં જ સુરતની નવી સિવિલ હોસ્પિટલ કે જે મચ્છરોનો બ્રિડીંગનો ઉત્પત્તિસ્થાન બની ગઈ છે તે સિવિલ હોસ્પિટલ સામે કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા.
શું સરકારી હોસ્પિટલોને નોટિસ આપતા કે દંડ ફટકારતા સુરત મનપાનાં હાથ ધ્રૂજે છે? આખા શહેરને મચ્છરોના ત્રાસ માટે દંડ આપીને નોટિસ ફટકારતું આરોગ્ય વિભાગ સિવિલ સામે વામણું સાબિત થયું છે. જોવાનું એ રહે છે કે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં કે પછી સિવિલ હોસ્પિટલનું તંત્ર જેના પર શહેરીજનોના આરોગ્યની મોટી જવાબદારી છે, તે જાતે જ આ મામલે સફાઈ કરીને મચ્છરોનો ત્રાસ દૂર કરવાની તસ્દી લે છે કે નહીં?