સુરતમાં કરિયાણાના વેપારીને લાગ્યો 2.11 લાખનો ચુનો, લગ્ન બાદ 13 જ દિવસમાં યુવતી થઈ ફરાર
Surat: વરાછામાં કરિયાણાનો વેપારી લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. મહારાષ્ટ્રની યુવતી 2.11 લાખ લઈ લગ્ન માટે તૈયાર થઈ હતી, જો કે લગ્ન બાદ પગફેરાની વિધિ માટે ગયેલી યુવતી ફરાર થઈ ગઈ હતી. વેપારી જ્યારે યુવતીને તેડવા ગયો ત્યારે પોતે છેતરાયો હોવાની જાણ થઈ હતી.
સુરત (Surat)ના વરાછાના ત્રિકમનગરમાં રહેતા કરિયાણાનો વેપારી (Grocer) લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. આ વેપારીએ મહારાષ્ટ્રની ભીવંડીમાં રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીએ તેના માતા-પિતા અને ઘરના સભ્યો માટે વેપારી પાસેથી 2.11 લાખ લઈ લીધા હતા. જો કે લગ્નના 13 દિવસમાં જ યુવતી પિયરમાં પગફેરાની વિધિ માટે ગઈ હતી. ત્યારબાદ વેપારી પરિવાર યુવતીને તેડવા ગયો ત્યારે તેનું ઘર બંધ હતુ અને અડોશપડોશમાં પૂછતા તેમણે કહ્યુ કે તેમનો પનારો લૂંટેરી દુલ્હન ગેંગ સાથે પડ્યો છે. ત્યારે વેપારીએ લગ્ન કરાવી આપનાર દલાલ સહિત 6 લોકો સામે વરાછા પોલીસ સ્ટેશન(Police Station)માં ફરિયાદ નોંધાવી છે.
2.11 લાખ લઈ લગ્ન કરનાર યુવતી લગ્ન બાદ 13 દિવસમાં થઈ ફરાર
સમગ્ર ઘટનાની વિગત અનુસાર વેપારી ગૌતમ ધનેશાની દુકાને દિનેશ આહિર નામનો શખ્સ વારંવાર આવતો હતો, આ દરમિયાન ગૌતમે દિનેશને પોતાના લગ્ન વિશે વાત કરી હતી, ત્યારે દિનેશે ગૌતમને વલસાડના ડુંગરીમાં રહેતા અને લગ્ન કરાવી આપવાનું કામ કરતા દલાલ રસીક રામાણી સાથે મુલાકાત કરાવી હતી. દલાલ સુરત આવ્યો અને ગૌતમને મળ્યો હતો. ત્યારે તેમણે ગૌતમને મહારાષ્ટ્રના ભીવંડી પાસે રહેતી સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરુરાજ શિંદેનો ફોટો બતાવીને કહ્યું કે મારા સગા માસીજીની દીકરી છે અને પસંદ આવે તો વાત આગળ વધારુ. ગૌતમને યુવતી પસંદ આવતા પરિવારને કહીને વાત આગળ વધારી હતી. જેમાં યુવતીની માતાએ કહ્યું કે તેમની દીકરી ઉપર જ ઘર ચાલે છે, ભાઈ અલગ રહે છે, પતિને ફેફસાની તકલીફ છે અને પોતાને ડાયાબિટિસ છે તો દવાખાનાનો ખર્ચ રહે છે, આથી અઢી લાખ રૂપિયા આપશો તો દીકરીના લગ્ન તમારી સાથે કરાવીશ. આખરે વાતચીત અને રકઝક બાદ સંબંધ 2.11 લાખમાં નક્કી થયો હતો.
ગૌતમે 2.11 લાખ રૂપિયા આપીને વલસાડમાં કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યુ હતુ, પરંતુ લગ્ન કરાવી આપનાર મહારાજ યુવતીને ઓળખતા ન હોવાથી લગ્નની વિધિ માટે ના પાડી હતી. આખરે સુરતમાં રંગઅવધૂતની વાડીમાં લગ્ન કર્યા હતા અને લગ્નના 13 દિવસમાં જ યુવતીના માતા પગફેરાની વિધિ માટે તેડવા આવ્યા હતા અને અઠવાડિયા પછી દીકરીને તેડી જજો એવુ કહ્યુ હતુ. અઠવાડિયા બાદ ગૌતમ અને તેનો પરિવાર ભીવંડી તેડવા ગયા ત્યારે સોની, તેની માતા સંગીતા, તેના પિતા ગરૂરાજ, દલાલ રસિક રામાણી અને તેના દિનેશ આહિર સહિત તમામના મોબાઈલ બંધ આવતા હતા.
ગૌતમે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ત્યારે પોતાને છેતરાયાની લાગણી થતા ગૌતમે અડોશીપડોશીઓને નયના વિશે પૂછપરછ કરી હતી, જેમાં પડોશીઓએ જણાવ્યુ કે અહીં રહેતા તમામ લોકો લગ્નના નામે છોકરાઓ સાથે છેતરપિંડીથી રૂપિયા પડાવી લે છે. આ એક પ્રકારની ગેંગ છે જે ખાસ કરીને ગુજરાતી છોકરાઓને લગ્નના નામે ઠગે છે. પોતાની સાથે ઠગાઈની જાણ થતા ગૌતમે સુરત આવી વરાછા પોલીસ સ્ટેશનમાં તેની દુકાને આવતા દિનેશ આહિર સહિતના તમામ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે અને લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.