Surat : શહેરની વચ્ચે આવેલી છે એક ગ્રીન સ્ટ્રીટ, જ્યાં 40 ઘર વચ્ચે 200 થી વધુ છોડ-વૃક્ષ છે!
Green Street in Surat city : સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ કુંભાર શેરીના સ્થાનિકોએ પર્યાવરણની ચિંતા કરીને ઉભી કરી છે આ હરિયાળી સભર ગ્રીન સ્ટ્રીટ.
SURAT : નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે વધુ વૃક્ષ વાવો. પરંતુ વધતી માનવવસ્તી અને કોન્ક્રીટના જંગલોના કારણે વૃક્ષોની સંખ્યા દિવસેને દિવસે ઓછી થઈ રહી છે. શહેરોમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે જેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ, પ્રદુષણ અને આવા તો કેટલાય પ્રશ્નો ઉભા થયા છે.
લોકો આજે ઘર આંગણે પણ એકાદ બે કુંડા મૂકીને ફૂલ છોડ વાવવાનો શૉખ પૂરો કરતા હોય છે. પરંતુ આજે અમે તમને બતાવીશું સુરતની ગ્રીન ગલી. જી હા, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કુંભાર શેરીને તેની હરિયાળીના કારણે ગ્રીન ગલી કહીએ તો પણ ખોટું નથી.
તમને જણાવી દઈએ કે શહેરની વચ્ચોવચ્ચ આવેલા સેન્ટ્રલ ઝોન એરિયો જુના ગીચ મકાનોની શેરીઓ અને મહોલ્લાથી ભરેલો છે. અહીં ઘર આંગણે પણ પાર્કિંગ કરવું લોકો માટે મુશ્કેલ થઈ જાય છે. ત્યારે સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ કુંભાર શેરીના સ્થાનિકોએ આ બધી ચિંતા છોડી ફક્ત પર્યાવરણની ચિંતા કરીને ઉભી કરી છે આ હરિયાળી સભર Green Street.
મહિધરપુરાના કુંભાર શેરીમાં 40 જેટલા મકાનો આવેલા છે, મકાનોની વચ્ચે માત્ર 15 થી 20 ફૂટની જગ્યા છે. પરંતુ અહીં સ્થાનિકોએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફૂલ છોડ અને વૃક્ષોનું જે જતન કર્યું છે તે વખાણવા લાયક છે. 40 મકાનોની વચ્ચે 200 જેટલા નાના મોટા છોડ અને વૃક્ષ વાવવામાં આવ્યા છે.
સાંકડી શેરી હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં, જગ્યા ન મળી તો લાકડાના સ્ટેન્ડ બનાવીને પણ ત્યાં કુંડા મૂકીને ફૂલ છોડ ઉછેરવામાં આવ્યા છે. અહીં 20 પ્રકારના છોડ અને વૃક્ષ જેમાં આસોપાલવ, પામ ટ્રી, સ્પાઇડર ટ્રી, અન્ય સુગંધિત ફૂલો ઉછેરવામાં આવ્યા છે.
અહીં રહેતા સ્થાનિક અને પ્રકૃતિ પ્રેમી રાજુ કુનારાના ઘરમાં જ 50 જાતના ફૂલ છોડ છે. તેમની પ્રેરણા લઈને આખી શેરી આ દિશા તરફ વળી છે. અને હવે ચોમાસાને બાદ કરતા ઉનાળા અને શિયાળામાં સ્થાનિક યુવાનો કામ વહેંચીને આ ફૂલ છોડની માવજત પણ કરે છે. નિયમિત ખાતર પાણી આપીને તેને મેઇન્ટેઇન કરવા સમય ફાળવે છે.
અન્ય એક સ્થાનિક ઘનશ્યામ મૈસૂરિયા કહે છે કે કોરોનાની લહેરમાં અહીં નજીક આવેલી ગુંદી શેરી અને ભૂત શેરીમાં કોરોનાના 40 થી 50 જેટલા કેસો હતા. જ્યારે આ શેરીમાં કોરોનાના માત્ર 2 જ કેસ નોંધાયા છે. તેમના જણાવ્યા મુજબ આ પણ વૃક્ષોને જ આભારી છે.
આ શેરીના સ્થાનિકોની પર્યાવરણને બચાવવાની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહી છે. શેરીમાં પ્રવેશતા જ એક અલગ તાજગીનો અનુભવ લોકો કરે છે.