GO GREEN : કોરોનાથી સાજા થનાર દર્દીઓને છોડ આપી ઓક્સિજન અને વૃક્ષોનું મહત્વ સમજાવતું અનોખું ગ્રૂપ
લોકો પ્રકૃતિને સમજે તેનો આદર કરે અને તેનું જતન કરે તે ભાવથી સુરતના એક ગ્રૂપ દ્વારા હવે શહેરના આઇસોલેશન સેન્ટર અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓને છોડ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે.
GO GREEN : આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતનો પ્રશ્ન કેટલો ગંભીર બન્યો હતો. પૂરતું ઓક્સિજન નહિ મળવાને કારણે દેશભરમાં અસંખ્ય દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કોરોના વાયરસ સીધો ફેફસા પર અસર કરતો હોય શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફનો સામનો દર્દીએ કરવો પડે છે. જેથી એકવાત નક્કી છે કે આ વાયરસે લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાવી દીધું છે.
ઓક્સિજનનું વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વ છે તેની સમજ આજે લોકોને આવતી થઈ છે. ત્યારે લોકો પ્રકૃતિને સમજે તેનો આદર કરે અને તેનું જતન કરે તે ભાવથી સુરતના એક ગ્રૂપ દ્વારા હવે શહેરના આઇસોલેશન સેન્ટર અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓને છોડ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે.
સુરતના શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રૂપ દ્વારા સુરતના આઇસોલેશન સેન્ટરો પર જઈને કોરોનાની મહામારી સામે લડીને સાજા થઈને જતા દર્દીઓને બે છોડ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. આ ગ્રૂપ દ્વારા વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન આપતા કૈલાશપતિ વૃક્ષના રોપા આપવામાં આવે છે.
અત્યારસુધી આ ગ્રુપના સભ્યો દ્વારા દરેક આઇસોલેશન સેન્ટર દીઠ 800 કરતા પણ વધારે કૈલાશપતિ વૃક્ષના રોપા આપવામાં આવ્યા છે. કોરોનાથી સાજા થઈને ડિસ્ચાર્જ થતા દર્દીઓ ઓક્સિજનનું મહત્વ સમજે અને જીવનમાં વૃક્ષો વાવીને માનવજાતને અતિઉપયોગી એવા વૃક્ષોનું જતન કરે તે ઉદ્દેશ્ય સાથે તેઓ આ કામમાં જોડાયા છે.
કૈલાશપતિ વૃક્ષના રોપા જે તેઓ ડિસ્ચાર્જ થતા દર્દીઓને આપે છે તે વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન આપતું વૃક્ષ છે, એટલું જ નહિ તે દેખાવમાં પણ સૌથી વધારે આકર્ષક લાગે છે.
આ પણ વાંચો : Rajkot : ખુદ મોત સામે જંગ લડતા ફારૂકભાઈ, કોરોના કાળમાં આપી રહ્યા છે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા