સુરતીઓ આનંદો : બસસેવામાં 15 જૂનથી ફક્ત 25 રૂપિયામાં આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકાશે
હાલમાં બીઆરટીએસના (BRTS) 13 રૂટ અને સિટીબસના કુલ 45 રૂટ પર રોજના 2,30,000 જેટલા નાગરિક માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લઇ રહ્યા છે.
સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સુરત સિટિલિંક લિ.ની 35 મી બોર્ડ મીટીંગમાં જાહેર પરિવહન સેવામાં (Mass Transportation ) ડિજિટલ તેમજ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય મળે તથા સુરતના નાગરિકો દ્વારા તેનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી સપ્ટેમ્બર મહિના માટે મની કાર્ડના ઉપયોગ થકી આ એક મહિના માટે મુસાફરો ફ્રીમાં મુસાફરી કરી શકાશે. એટલું જ નહીં આગામી 15 મી જુનથી બસ સેવામાં રૂ. 25ની ટીકીટ દ્વારા આખા દિવસ દરમ્યાન અનલિમીટેડ મુસાફરીની સુવિધા શરૂ કરાશે તેવી જાહેરાત સુરત સિટિલિંક લિ. દ્વારા કરવામાં આવી હતી.
જેને કારણે મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ કે જે કામના અર્થે દૈનિક ધોરણે બસોમાં મુસાફરી કરતા હોય તેઓને આર્થિક રાહત મળશે. આ સેવા મારફત વધુ ને વધુ લોકો દ્વારા જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં આવશે. જેને કારણે ટ્રાફિક સમસ્યા માં ઘટાડો થશે અને પ્રદુષણમાં ઘટાડો થશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનામાં થશે ફ્રી મુસાફરી
ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય મળે તે માટે મનપાની બસ તેમજ અન્ય વિવિધ સેવાઓમાં ઉપયોગમાં આવી શકે તે માટે સુરત મની કાર્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી શહેરીજનો સુરત મનપાની વિવિધ સેવાઓનો લાભ આ એક જ કાર્ડ થકી પેમેન્ટ કરીને લઈ શકશે. પરંતુ આ કાર્ડને સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. વધુમાં વધુ લોકો બસમાં ટીકીટીંગ માટે સુરત મની કાર્ડનો ઉપયોગ કરે તે માટે મનપા દ્વારા તા. 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન સુરત મની કાર્ડ અને સિટિલિંક મોબાઇલ એપ્લીકેશન મારફત ટીકીટ બુકિંગ કરી મુસાફરીમાં 100 ટકા રાહત આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ 15 જૂનથી શહેરીજનો માત્ર 25 રૂપિયામાં આખા શહેરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકશે.
નોંધનીય છે કે સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના ભાગરૂપે શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. જેનો રોજના લાખો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નવા વિસ્તારોમાં પણ આ સુવિધાને આપવામાં આવી રહી છે. ત્યારે મહત્તમ લોકો તેનો ફાયદો લે તેના માટે કોર્પોરેશન અને સીટી લિંક દ્વારા મની કાર્ડ અને એપનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.
રોજના 2.30 લાખ લોકો બસ સેવાનો લાભ લઇ રહ્યા છે
તમને જણાવી દઈએ કે હાલ સમગ્ર ભારતમાં સુરત જ એકમતે એવું સાગર છે જ્યાં એક જ ટિકિટથી સિટીબસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં બીઆરટીએસના 13 રૂટ અને સિટીબસના કુલ 45 રૂટ પર રોજના 2,30,000 જેટલા નાગરિક માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લઇ રહ્યા છે.