Crime News : 100 રૂપિયાને લઈને સુરતના પુણા વિસ્તારમાં કરાઈ હત્યા, પોલીસે ઉકેલી કાઢ્યો ગુનો
પુણા (Puna )પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે, હજુ પણ મૃતકની ઓળખ થઇ શકી નથી, પોલીસે તેના પરિવારને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
સુરત (Surat )ના પુણાના દેવધગામ પાસે ત્રણ દિવસ પહેલા કૂવામાંથી(Well ) મળી આવેલી ડેડબોડીના કેસમાં પોલીસે (Police )હત્યા કરનાર બે યુવકોની ધરપકડ કરી હતી. આ બંને યુવકોએ રૂપિયા 100ને લઇને મૃતકને લાકડાના ફટકા મારીને ડેડબોડી બાંધી દીધી હતી, ત્યારબાદ રાત્રે 1 વાગ્યે કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પુણાગામ રામનગર ફળીયામાં રહેતા જયદિપસિંહ પ્રફુલિસંહ પરમાર દેવધગામ ખાતે સુરેશ છોટુભાઇ પટેલના ખેતરમાં ખેતી કામ કરે છે. તેઓ રવિવારે સવારે સાડા આઠ વાગ્યે જયદિપસિંહ ખેતરમાં ગયા ત્યારે ખુબ જ દુર્ગંધ આવી રહી હતી, તેઓએ ઓરડી નજીક ખેતરમાં જઇને તપાસ કરી ત્યારે કૂવામાં એક લાશ જોવા મળી હતી. આ બાબતે ફાયરવિભાગ તેમજ પોલીસને જાણ કરવામં આવતા અજાણ્યાને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકના હાથ અને પગ બાંધીને ફેંકી દીધી હોવાનું બહાર આવતા પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પુણા પોલીસના પીઆઇ આર.પી. સોલંકી તેમજ તેમના સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને પુણાની શ્યામસંગીની માર્કેટ નજીક જયેશ દરબારના ખેતરમાંથી ભાવેશ ઉર્ફે ભોલો કાળીદાસ રાઠોડ તેમજ રાજુ ઉર્ફે ગાંડો છીતુભાઇ રાઠોડને પકડી પાડ્યા હતા. આ બંનેની પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, મૃતકે ભાવેશ જ્યારે મજૂરીકામ કરતો હતો ત્યારે તેના પેન્ટના ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢી લીધા હતા. ભાવેશે આ રૂપિયા પરત માંગતા મૃતકે પાછા આપ્યા ન હતા, ઉશ્કેરાયેલા ભાવેશે પોતાની નજીક પડેલા લાકડાના ફટકા વડે મૃતકને માથાના ભાગે ફટકો મારીને હત્યા કરી નાંખી હતી.
ત્યારબાદ આ ડેડબોડીને ખેતરની ઓરડી અને કૂવાની પાસે લઇ ગયો હતો ત્યાં તારથી બાંધી દીધી હતી. ત્યારબાદ ભાવેશ ઘરે ગયો હતો અને રાત્રીના એક વાગ્યાના અરસામાં તેના મિત્ર રાજુને બોલાવીને ડેડબોડીને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ તો પુણા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે, હજુ પણ મૃતકની ઓળખ થઇ શકી નથી, પોલીસે તેના પરિવારને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.
કેવી રીતે ગુનાનો ભેદ ઉકેલાયો..?
મૃતકની ડેડબોડી જે ખેતરમાંથી મળી આવી તે ખેતરમાં કામ કરતા મજૂરોની વિગતો સૌપ્રથમ પોલીસે મેળવી હતી. ત્યારબાદ ખેતરમાં કામ કરતા બે મજૂરો નામે ભાવેશ અને રાજુનો સંપર્ક કરાયો હતો, પરંતુ તેઓ શરૂઆતમાં મળ્યા ન હતા અને તેની ઉપર વધુ શંકા ગઇ હતી. આ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, આ ખેતરમાં કામ કરતા બે યુવકો શ્યામ સંગીની માર્કેટ પાસે જયેશ દરબારના ખેતરમાં જોવા મળ્યા છે. તેના આધારે પોલીસે બંનેની ઉચકી લાવી હતી અને કડક પુછપરછ કરતા તેઓએ કહ્યું કે, મૃતક ત્યાં 15 દિવસથી આવતો જતો હતો, અને બેસી રહેતો હતો. શનિવારના દિવસે મૃતકે ભાવેશના ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા અને પાછા નહીં આપતા તેની હત્યા કરી દેવાઇ હતી.