Covid 19: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા સુરતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર
Surat: સરેરાશ હજારો લોકો મહારાષ્ટ્રથી બસ અને વિવિધ ખાનગી વાહનો દ્વારા તેમના વતનથી રોજ શહેરમાં આવે છે. સુરતમાં અંદાજે ચાર લાખ સ્થળાંતર કરનારા લોકો છે અને નોકરી ધંધા અર્થે રોજિંદા આટલા લોકોની અવરજવર સુરતથી થતી રહે છે.
Surat: સુરતમાં જ્યારે કોરોના (Corona virus) રોગચાળાની બીજી લહેરની શરૂઆત થઈ હતી, ત્યારે સુરત આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર (Maharashta)માં કેસો વધવાથી ડાયમંડ સિટી સુરતમાં કોરોનાના ચેપનો દર વધ્યો હતો. આ દરમિયાન જ્યારે કોવિડ કેસોમાં ફરી એકવાર વધારો થવાને કારણે મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા નવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત મનપાનું આરોગ્ય વિભાગ ફરી વાર એલર્ટ મોડમાં આવી ગયું છે.
જો કે અધિકારીઓનો દાવો છે કે મહારાષ્ટ્રથી સ્થળાંતર કરનારા કામદારોમાં કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી. દરરોજ સરેરાશ હજારો લોકો મહારાષ્ટ્રથી બસ અને વિવિધ ખાનગી વાહનો દ્વારા તેમના વતનથી રોજ શહેરમાં આવે છે. સુરતમાં અંદાજે ચાર લાખ સ્થળાંતર કરનારા લોકો છે અને નોકરી ધંધા અર્થે રોજિંદા આટલા લોકોની અવરજવર સુરતથી થતી રહે છે.
મહારાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં રાત્રે 9 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. જોકે કેસ વધતા ફરી તેને સાંજના 4થી 7 વાગ્યા દરમિયાન વધુ કડક કરવામાં આવ્યો છે. છૂટછાટનો સમય પણ ઓછો કરવામાં આવ્યો છે. અગાઉ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યા પછી શરૂ થતો હતો, પરંતુ સોમવારથી સાંજે 4 વાગ્યાથી કર્ફ્યુ શરૂ થશે.
કેસોમાં વધારો થવાને કારણે ફરી કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને વિકેન્ડમાં તે સંપૂર્ણપણે બંધ રહે છે. પ્રતિબંધોને લીધે સુરત અને મહારાષ્ટ્ર વચ્ચે હવે પરિવહન મેળવવા પણ મુશ્કેલી આવી રહી છે. જોકે સારોલી, ભાટિયા ટોલનાકા સહિત જ્યાં મહારાષ્ટ્રથી આવતા વાહનોના મુખ્ય પ્રવેશ સ્થાન છે. ત્યાં ફરી એકવાર સુરત મનપા દ્વારા ચેકીંગ ગોઠવવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે ચેકીંગ પહેલા જેટલું કરવામાં આવતું હતું તેટલું જ કરવામાં આવી રહ્યું છે. પ્રવેશ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ટીમ રેન્ડમલી ચેકીંગ કરી જ રહી છે. મહારાષ્ટ્રમાં કેસો વધ્યા છે, તેને લઈને સુરતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે અને ત્યાંથી રોજના આવતા લોકોનું ચેકીંગ કરીને સુરતમાં તેની કોઈ અસર ન થાય તેનું ધ્યાન રાખવમાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં ત્રીજા દિવસે પણ કોરોનાના 100થી ઓછા નવા કેસ, 3,013 એક્ટિવ કેસ