Surat: શાળાઓની મનમાની, CBSEની પરીક્ષા અને ધો.10નું રિઝલ્ટ બાકી છતાં ધોરણ 11નું શિક્ષણ શરૂ કરવાની જાહેરાત
સુરતની (SURAT) કેટલીક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કૂલોએ (Science Schools) રીતસર લલચાવતી જાહેરાતો કરી છે. જેમાં કોઈપણ સ્કૂલના ધો.10માં જે વિદ્યાર્થીઓ ટોપટેનમાં સ્થાન પામશે તેને ફીમાંથી 80 ટકા સુધીની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે.
સુરતમાં (Surat ) ઘણી શાળાઓએ ઓરિએન્ટેશન, બ્રીજ કોર્સના નામે ધો.10ના રિઝલ્ટ પહેલા જ ધો.11માં શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરતાં વિવાદ થયો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત બોર્ડની (Gujarat Board) ધો.10ની પરીક્ષાઓ પૂરી થઈ છે, સેન્ટ્રલ બોર્ડની ધો.10ની પરીક્ષાઓ તા.26 એપ્રિલથી હજુ તો શરૂ થવાની છે અને ધો.10ના પરિણામના કોઈ ઠેકાણા પણ નથી, પરંતુ, સુરતની કેટલીક હાયર સેકન્ડરી સ્કૂલોમાં (Higher secondary schools) વિદ્યાર્થીઓની એટલી ખેંચાખેંચ થઈ રહી છે કે પોતાની વિદ્યાર્થી સંખ્યા જાળવી રાખવા માટે કેટલીક સ્કૂલોએ અત્યારથી જ ધો.11માં ફી ઉઘરાવીને પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. આ બાબત સામે શિક્ષણાધિકારીની કચેરી આંખ આડા કાન કરી રહી હોવાથી સ્કૂલો બેરોકટોક પણે ધો.10ના પરિણામ પહેલા ધો.11નું શિક્ષણ શરૂ કરી રહી છે.
સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ, વરાછા, કતારગામ, મોટા વરાછા, પૂણાની અનેક સ્કૂલોએ ધો.11 સાયન્સમાં ઓરિએન્ટેશન કોર્સ, બ્રિજ કોર્સની જાહેરાત કરીને ધો.11 સાયન્સમાં પ્રવેશ ઈચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓને પોતાને ત્યાં બોલાવીને મસમોટી ફી વસૂલી પોતાની વિદ્યાર્થી સંખ્યા નિશ્ચિત કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.
સુરતમાં રહેતા એક રિટાયર્ડ પ્રિન્સીપાલ કહે છે કે પહેલા કોચિંગ ક્લાસીસો પોતાના કોચિંગમાં વિદ્યાર્થીઓ મળી રહે તે માટે વેકેશનથી જ ભણાવવાનું શરૂ કરી દેતા હતા. પરંતુ, હવે તો આ ખેલ સ્કૂલોએ પણ શરૂ કરી દીધો છે. કેટલીક શાળાઓને એવો ભય લાગે છે કે જો ધો.10ના પરિણામ સુધી રાહ જોવામાં આવે તો તેમના વિદ્યાર્થીઓ અન્યત્ર ચાલ્યા જશે અને તેમના વર્ગો ખાલી રહી જશે. આથી અત્યારથી યેનકેન પ્રકારે બ્રિજ કોર્સ, ઓરિએન્ટેશન કોર્સના નામે ધો.11ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેના પર શિક્ષણાધિકારીની કચેરીએ રોક લગાડવી જોઇએ.
બીજી સ્કૂલોના ટોપર વિદ્યાર્થીઓને સ્કોલરશિપની લાલચ
સુરતની કેટલીક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કૂલોએ રીતસર લલચાવતી જાહેરાતો કરી છે. જેમાં કોઈપણ સ્કૂલના ધો.10માં જે વિદ્યાર્થીઓ ટોપટેનમાં સ્થાન પામશે તેને ફીમાંથી 80 ટકા સુધીની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. આવું કરવા પાછળનું કારણ જે તે સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલોમાં એડમિશન ન લે અને તેમની શાળામાં જ લે તેવો છે. વરાછા, કતારગામ, પૂણા, અમરોલી, સેકન્ડરી સ્કૂલોના સંચાલકોએ આવી લાલચ ઉધના, પાલ, અડાજણ તમામ વિસ્તારની શાળાઓએ ધો.11માં અત્યારથી જ વિદ્યાર્થીઓને હંગામી પ્રવેશ આપવા માંડ્યા છે.
શિક્ષકોને પણ વિદ્યાર્થી દીઠ કમિશન
કેટલીક સેલ્ફ ફાઈનાન્સ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ સાયન્સ એજ્યુકેશનને એવો ધંધો બનાવી દીધો છે કે જે તે વિષય શિક્ષકો અન્ય સ્કૂલના વિદ્યાર્થીને પોતાની સ્કૂલમાં ખેંચી લાવે તો તેવા શિક્ષકને વિદ્યાર્થી દીઠ રોકડ રકમ કમિશન પેટે આપવાની જાહેરાત કરી દીધી છે. જે ધંધો કોચિંગ ક્લાસીસોના સંચાલકો નથી કરી રહ્યા તેવા ધંધા હવે સ્કૂલોનાં સંચાલકોએ શરૂ કરી દીધા છે. આવા સંચાલકો સામે પગલાં ભરવાની માગ પણ ઉઠી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો