Surat: દશામાની અવદશા બાદ સુરતના સ્વયંસેવકોએ 800 પ્રતિમાઓને દરિયામાં પુનઃ વિસર્જીત કરી
સુરતમાં વિસર્જનના દિવસે દશામા અવદશામાં જોવા મળ્યા હતા. સેંકડો પ્રતિમા રઝળતા સ્વયંસેવકોએ પ્રતિમાઓ એકત્ર કરી દરિયામાં ફરી વિસર્જિત કરી હતી.
1- દિવસ સુધી જેની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે તેવી દશામાની પ્રતિમાઓ વિસર્જનના દિવસે જ અવદશામાં જોવા મળી હતી. સુરતના તમામ ઓવારાઓ પર આડશ લગાવીને તાપીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ વખતે કોરોના સંક્ર્મણ ન ફેલાય તે માટે આ વર્ષે કૃત્રિમ તળાવ નહીં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને દશામા સહિત તમામ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે જ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. કેટલાક ભક્તોએ આ અપીલને અનુસરી પણ હતી. જોકે કેટલાક ભક્તોએ બીજા ભક્તોની લાગણી દુભાવવાનું પણ કાર્ય કર્યું હતું.
દશામા વિસર્જનના દિવસે રાત્રી દરમ્યાન નાઈટ કર્ફ્યુ હોવા છતાં કેટલાક ભક્તો દ્વારા શહેરના ખરવાસા, ડિંડોલી પાસે ઓવારાઓ અને નહેર પાસે દશામાની મૂર્તિઓને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવી હતી. જ્યાં આડશ મુકવામાં આવી હતી ત્યાં બહાર જ ભક્તો દશામાની મૂર્તિને રઝળતી હાલતમાં મૂકીને જતા રહ્યા હતા. મોટી સંખ્યામાં આ પ્રતિમાઓ રઝળતી મળી આવતા અન્ય ભક્તોની લાગણી પણ દુભાઈ હતી.
તેવામાં સુરતની સાંસ્કૃતિક રક્ષા સમિતિના સ્વયંસેવકો દ્વારા આજે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા સુરતના પુણા , ડિંડોલી, ખરવાસા જેવા વિસ્તારમાં આવેલ નહેરમાંથી અર્ધવિર્સર્જીત અને રઝળતી મળી આવેલ દશામાની પ્રતિમાઓને ભાર કાઢવામાં આવી હતી. કેટલીક પ્રતિમાઓ રોડ પર અને ફૂટપાથ પર પણ મળી આવી હતી. આ સમિતિના 100 થી વધુ જેટલા કાર્યકરોએ આજે દશામાની 800 જેટલી પ્રતિમાઓને એકત્ર કરી હતી. અને તેઓએ દરિયામાં પુનઃવિર્સર્જીત કરી હતી.
સંસ્થાના સભ્યોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ નહેરમાંથી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી અસંખ્ય મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. તેમને ઉમેર્યું હતું કે આવી રીતે ભક્તિ કરવી યોગ્ય નથી. આગામી દિવસોમાં ગણેશોત્સવ પણ આવી રહ્યો છે. લોકો માટીની જ મૂર્તિની સ્થાઓના કરે અને આ પ્રકારે પ્રતિમાઓની પૂજા અર્ચના કરીને તેને રઝળતી હાલતમાં મૂકીને ભગવાનનું અપમાન ન કરે તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :