Surat : ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો ઘટાડો કરતા તંત્ર પણ વિમાસણમાં મુકાયુ
હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને ઑક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર.........
કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જીવનરક્ષક એવા ઓક્સિજનની ભારે અછત ઊભી થતાં દર્દીના સગાઓમાં અફરાતફરીનો માહોલ ઉભો થઇ રહ્યો છે. સરકાર દ્વારા પણ હાલ સુધી ફાળવાતા ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો ઘટાડો કરી દેવામા આવ્યો છે. જેને લઈને તંત્ર પણ વિમાસણમાં મુકાઇ ગયું છે. હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને ઑક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. અને સુરત પાસે માત્ર 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે.
સુરતની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે.આ પરિસ્થિતિ વચ્ચે ગત રોજ શહેરની ખાનગી હોસ્પિટલોને 76 મેટ્રિક ટન ઓક્સિજન પુરવઠો સપ્લાય કરવામાં આવ્યો છે.શહેરની ત્રણ મુખ્ય એજન્સી દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યું છે.જો કે આજ રોજ શહેરની મુખ્ય ચાર ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય પુરી પાડતી દહેજની લિન્ડર એજન્સીનો પ્લાન્ટ બંધ હોવાના કારણે ઓક્સિજન સપ્લાય પૂરો પાડી શકાયો નથી.જેના કારણે ચાર ખાનગી હોસ્પિટલોમાં સ્થિતિ ગંભીર બની છે.
સુરત સહિત જિલ્લામાં ઓક્સિજન પુરવઠો ખૂબ જ ઓછી માત્રામાં છે.જેના કારણે તાબડતોબ ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પૂરો પાડી શકાય તેવી સ્થિતિ નથી.ઓક્સિજન ઉત્પાદન ની ક્ષમતામાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિ નથી.જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ કરકસર કરી ઓક્સિજનનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ સિવાય જિલ્લામાં પણ વેન્ટિલેટર સહિતની સુવિધાનો અભાવ હોવાની વાત જિલ્લા કલેકટર દ્વારા સ્વીકારવામાં આવી છે. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.આ સાથે જ ખાનગી હોસ્પિટલોમાંથી આવતા દર્દીઓને દાખલ નથી કરવામાં આવી રહ્યા.સુરતની પરિસ્થિતિ વિશે કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે,હજીરા ખાતે નિપોન કંપની દ્વારા ઓક્સિજન સુવિધા સાથે સજ્જ 250 બેડનો આઇલેશન સેન્ટરની શરૂવાત કરવામાં આવી રહી છે.જ્યાં આજથી 100 બેડ થી શરૂવાત કરી દેવામાં આવી છે.જ્યાં મોટી રાહત પણ મળી રહેશે.
આ પણ વાંચો : Suratમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ લોકો ઈન્જેક્શન માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા, હવે મરણનો દાખલો લેવા માટે લાંબી કતારો લાગવા લાગી છે.