Surat: ઘોડાગાડી-બગી ધરાવનારાઓના જીવનની ગાડી અટકી, અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર
Surat: ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે. તેવામાં લગ્નના આયોજનો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઓછા લોકોની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ યોજાઇ રહ્યા છે.
Surat: ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે. તેવામાં લગ્નના આયોજનો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઓછા લોકોની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ યોજાઇ રહ્યા છે. જેની સીધી અસર ઇવેન્ટ આયોજકો પર પડી રહી છે. સુરત શહેરમાં 40 કરતાં વધારે બગી અને 70 કરતા પણ વધારે ઘોડા વેચાઈ ગયા છે. કેટલાક બગીવાલા પોતાનો વેપાર પણ છોડી રહ્યા છે. આ પરિસ્થિતિ નહીં સુધરે તો આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની મુસીબત વધી જશે.
લાંબા સમયથી બગી ના વ્યવસાય સાથે જોડાયેલા સાદીકભાઈ જણાવી રહ્યા છે કે તેમના વ્યવસાયમાં આ પ્રકારની મંદી પહેલા ક્યારેય નથી આવી. કોરોના પહેલા સુરતમાં 150 થી 200 બગી હતી. જેમાં 40 કરતાં વધારે બગીઓ વેચાઈ ગઈ છે.
50% વ્યાપારી વ્યવસાય માંથી નીકળી ગયા છે. તેમની પાસે પહેલા અગિયાર ઘોડા હતા .પરંતુ મંદીના કારણે તેઓએ ત્રણ ઘોડા વેચી નાંખ્યા છે. બગી અને ઘોડાને દેખરેખ અને સારસંભાળ ખર્ચ પણ મુશ્કેલ થઇ રહ્યો છે. પહેલા પ્રતિદિવસ 300 રૂપિયાનો ખર્ચ થતો હતો પરંતુ હવે ઘાસની કિંમત વધી જવાને કારણે આ ભાવ 400 થી 500 થઈ ગયો છે. ઘાસનો ભુસો, કર્મચારીઓના પગાર સહિત અન્ય ખર્ચા વધવાના કારણે તેઓને મુશ્કેલી પડી રહી છે. જેના કારણે બગી વાળાની હાલત ખરાબ થઈ ગઈ છે.
કોરોના પહેલા લગ્નમાંના ત્રણ કલાકનું ભાડું 7000 થી 10,000 હતું. પરંતુ કોરોનાના કારણે આ ભાડું હવે એક હજારથી પાંચ હજાર માં કરવામાં આવ્યું છે.
આ પહેલા આખા વર્ષમાં બગી વાળા ને 50 કરતા વધારે ઓર્ડર મળતા હતા. પરંતુ કોરોનાના કારણે લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણ આવ્યું .છે જેના કારણે લોકો બગીનો ઓર્ડર નથી આપતા. ડિસેમ્બરમાં ચૂંટણી હોવાના કારણે પંદર દિવસ સુધી થોડા ઓર્ડર મળ્યા હતા. ચૂંટણી દરમિયાન થોડા ઓર્ડર મળવાને કારણે વ્યાપાર ચાલતો હતો. પરંતુ કોરોના ની બીજી લહેરથી ફરી એકવાર વેપાર ઠંડો થઈ ગયો છે. હવે પરિસ્થિતિને સમજીને કેટલાક લોકો વ્યવસાય બદલીને નાના મોટા કામ કરવા લાગ્યા છે.
માત્ર બગી ઘોડાવાળા જ નહીં લગ્નપ્રસંગ સાથે જોડાયેલા તમામ વ્યવસાયના લોકોને સરખી મુશ્કેલીઓ પડી રહી છે. તેવામાં આવી જ પરિસ્થિતિ જો આગામી થોડા મહિનાઓ સુધી રહી તો લોકોની મુશ્કેલીમાં ઓર વધારો થઈ શકે એ નક્કી છે.