SURAT : કોરોનાકાળમાં સામાજિક સંસ્થાઓએ ભૂખ્યાને ભોજન કરાવી જશ ખાટ્યો અને કોર્પોરેશન પાસે જમાડવાના કરોડોના બીલ પાસ કરાવ્યાં
કરોનાકાળમાં ગરીબ ભૂખ્યાઓને ભોજન કરાવી પોતે જશ ખાટી સમાજમાંથી વાહ વાહી લૂંટી કેટલીક સામાજિક સંસ્થાઓએ સેવાના નામે કૌભાંડ આચાર્યાનો એક RTIમાં પર્દાફાશ થયો છે.
SURAT : ભૂખ્યા કાજે ભોજન બનજો.. તરસ્યાનું જળ થાજો.. આ પંક્તિને લજવનારું કૌભાંડ સુરતમાં સામે આવ્યું છે. કોરોનાકાળમાં ગરીબોને જમાડવાનો જશ ખાટનારી સંસ્થાઓએ રોકડી લીધી છે. કેટલીક સામાજિક સંસ્થાઓએ ભૂખ્યાને ભોજન કરાવી વાહવાહી લૂંટી કોર્પોરેશન પાસેથી કરોડો રૂપિયાના બિલ પાસ કરાવ્યાનો એક RTI ભાંડો ફૂટ્યો છે.
કોરોનાકાળમાં દર્દીઓની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક લોકો અત્યાર સુધી લોકોને તો લૂંટતા હતા. રોજગારી ગુમાવનારા શ્રમિકોને ખાવાના પણ ફાંફા હતા.. તેવા સમયે સુરતમાં અલગ- અલગ નામથી સામાજિક સંસ્થાઓ સામે આવી અને આ શ્રમિકોને બે સમય ભરપેટ ભોજન પૂરું પાડ્યું. પરંતુ તે સમયે જે સેવા લાગતી હતી, તે ખરેખર સેવા નહીં પણ મહાપાપ હતું, જે અત્યારે ઉજાગર થયું છે.
કરોનાકાળમાં ગરીબ ભૂખ્યાઓને ભોજન કરાવી પોતે જશ ખાટી સમાજમાંથી વાહ વાહી લૂંટી કેટલીક સામાજિક સંસ્થાઓએ સેવાના નામે કૌભાંડ આચાર્યાનો એક RTIમાં પર્દાફાશ થયો છે. RTI માં ખુલાસા થયા મુજબ સેવા કરનારી સામાજિક સંસ્થાઓએ કરોડો રૂપિયાના બિલો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation)માંથી પાસ કરાવી લીધા છે. અત્યાર સુધીમાં 15 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ છે અને 22 કરોડની રકમ ચૂકવવાની પેન્ડિંગ છે. 3 કરોડથી વધુ લોકોને જમાડવાના બિલ પાસ કરવામાં આવ્યાં છે. આ RTIની વિગતો મુજબ અત્યાર સુધીમાં ચૂકવાયેલી રકમની વિગત જોઈએ તો
જનકકુમાર ડી. પટેલ – 1.44 કરોડ ચુકવાયા અમન કેટર્સ – 35.55 લાખ ગણેશ કેટરીન -23.65 લાખ હરીઓમ ફાસ્ટફૂડ – 7.20 લાખ વિશાલ કેટર્સ – 6.90 લાખ પુરોહિત થાળી – 2.42 લાખ ટેસ્ટી ખમણ – 13.69 લાખ ક્રિસ કેટર્સ – 17.14 લાખ સાઈ હોસ્પિટાલીટી – 46 લાખ આર.ઝેડ એન્ડ કે.કેને – 2 લાખ
જયારે અક્ષયપાત્ર ફાઉન્ડેશનને 2.15 કરોડ રૂપિયા ચુકવાયા છે અને હજી 22 કરોડની રકમ ચૂકવવાની પેન્ડિંગ છે.
સામાજિક સંસ્થાઓ સેવા કરતી હોય તો કરોડોની લ્હાણી કેમ? કોર્પોરેશન ખાનગી સંસ્થાઓના બિલો કેમ ચૂકવી રહ્યું છે? નજીવા ખર્ચે બનતા કઢી-ખીચડીના બિલો લાખોમાં કેવી રીતે? નિઃસ્વાર્થ ભાવે સેવાના દાવા કરતી સંસ્થાઓ હવે કેમ બિલ પાસ કરાવી રહી છે? શું કોર્પોરેશનના સત્તાધીશોની મિલીભગતથી સામાજિક સંસ્થાઓ કૌભાંડ આચરી રહી છે?
બીજી તરફ નવાઈની વાત તો એ છે કે કોર્પોરેશનના સત્તાધીશો લાજવાને બદલે ગાજી રહ્યા છે અને વેરિફિકેશન બાદ જ નાણાની ચૂકવણી થઈ હોવાના દાવા કરી રહ્યા છે. RTIમાં થયેલા ખુલાસા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.